- પાકિસ્તાને ફરી કરી અવળચંડાઇ
- ફરી કર્યું શસ્ત્રવિરામનું ઉલ્લંઘન
- પાકિસ્તાનના ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ
નવી દિલ્હી: પાકિસ્તાન સતત તેની અવળચંડાઇઓ ફરી ફરી દોહરાવી રહ્યું છે અને શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરના રાજૌરી જીલ્લાની પાસે એલઓસી પર કરેલા ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો.
આ અંગે રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, એલઓસી પર શસ્ત્રવિરામનું ઉલ્લંઘન કરી પાડોશી દેશ દ્વારા કરવામાં આવેલા સતત ગોળીબારમાં આ વર્ષે અત્યારસુધીમાં 4 જવાન શહીદ થઇ ચૂક્યા છે. આ વખતે શહીદ થયેલ જવાન લક્ષ્મણ જોધપુરનો રહેવાસી હતો.
પ્રવક્તા અનુસાર પાકિસ્તાની સેનાએ રાજૌરી જીલ્લામાં સુંદરબની સેક્ટરમાં અકારણ ગોળીબાર શરૂ કરી દીધો હતો. દુશ્મનના ગોળીબારમાં અમારા જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે ગોળીબારમાં લક્ષ્મણ ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે જવાન લક્ષ્મણ એક બહાદુર, બહુ પ્રેરિત તેમજ કાબિલ સૈનિક હતા. રાષ્ટ્ર તેના સર્વોચ્ચ બલિદાન તેમજ કર્તવ્યના પ્રત્યે સમર્પણ માટે હંમેશા ઋણી રહેશે.
અગાઉ જાન્યુઆરીમાં એલઓસી પર પાકિસ્તાની ગોળીબારમાં સેનાના 3 જવાન શહીદ થયા હતા.
(સંકેત)