Site icon Revoi.in

રામ મંદિર નિર્માણ કાર્ય માટે આ સાધુએ કર્યું 1 કરોડનું મહાદાન

Social Share

હરિદ્વાર: હાલમાં સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણ કાર્ય માટે નિધિ એકત્રીકરણનું કામ ચાલી રહ્યું છે ત્યારે ઋશિકેશના 83 વર્ષીય સંત સ્વામી શંકર દાસે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું ત્યારે બધા ચોંકી ગયા હતા. તેઓ છેલ્લા 60 વર્ષથી ગુફામાં વસવાટ કરે છે. સ્વામી શંકર દાસે કહ્યું કે, તેમના ગુરુ ટાટવાળા બાબાની ગુફામાં મળી રહેલા શ્રદ્વાળુઓના અનુદાન દ્વારા આ રકમ એકઠી કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઋષિકેશમાં ભારતીય સ્ટેટ બેંકની મુખ્ય શાખાના કર્મચારીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે શંકર દાસ 1 કરોડનો ચેક લઇને આવી પહોંચ્યા હતા. જ્યારે બેંકના કર્મચારીઓએ તેમનું એકાઉન્ટ ચેક કર્યું તો તેમનો ચેક સાચો હોવાની પુષ્ટિ થઇ હતી. આ પછી, RSS અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા જેથી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે.

ઋષિકેશ RSSના વડા સુદામા સિંઘલે કહ્યું કે માહિતી મળતાની સાથે જ અમે બેંકમાં પહોંચી ગયા. સાધુઓ સીધા પૈસા દાન કરી શકતા નથી, તેથી આ ચેક અમને આપવામાં આવ્યો હતો અને અમે તેમને એક રસીદ આપી હતી. હવે બેંક મેનેજર ચેક ટ્રસ્ટ ખાતામાં જમા કરાવશે.

સ્વામી શંકર દાસે કહ્યું કે તેઓ ગુપ્ત દાન કરવા ઈચ્છતા હતા, પરંતુ દાનની રકમ જાહેર કરવા માટે સંમત થયા કે તે મંદિરના નિર્માણ માટે અન્ય લોકોને પ્રેરણારૂપ કરશે.

(સંકેત)