Site icon Revoi.in

IRCTC ધાર્મિક પ્રવાસનને વેગ આપવા હવે રામાયણ યાત્રા ટ્રેન શરૂ કરશે

Social Share

નવી દિલ્હી: પ્રભુ શ્રીરામના ભક્તો માટે એક શુભ સમાચાર છે. ભારતીય રેલવે હવે રામાયણ યાત્રા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા જઇ રહી છે. આ ટ્રેનથી ભગવાન રામના ભક્તો અયોધ્યાથી રામેશ્વરમ સુધી દર્શન કરી શકશે.

ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહિત કરવાના હેતુસર IRCTCએ દેખો અપના દેશની પહેલ હેઠળ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

આ ખાસ પ્રવાસી ટ્રેન 7 નવેમ્બરના રોજ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થશે અને પ્રવાસીઓને ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા તમામ મહત્વના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે લઈ જશે.

સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ કરીને, આ ટ્રેનનો પ્રથમ સ્ટોપ ભગવાન શ્રી રામનું જન્મ સ્થળ અયોધ્યા હશે, જ્યાં શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી હનુમાન મંદિર અને નંદીગ્રામમાં ભારત મંદિરની મુલાકાત લેવામાં આવશે.

આ ટ્રેનમાં બે રેલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, આધુનિક કિચન કાર અને મુસાફરો માટે ફૂટ મસાજર મશીન, મિની લાઇબ્રેરી, આધુનિક અને સ્વચ્છ શૌચાલય અને શાવર ક્યુબિકલ્સ હશે. પેસેન્જર કોચ આ સાથે સુરક્ષા માટે દરેક કોચમાં સિક્યોરિટી ગાર્ડ, ઇલેક્ટ્રોનિક લોકર્સ અને CCTV કેમેરા પણ લગાવાશે.

એસી ફર્સ્ટ ક્લાસ ટ્રાવેલ માટે 1 લાખ 2 હજાર 95 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે 2  ટાયર એસી કોચ માટે 82 હજાર 950 રૂપિયા ચૂકવવા પડશે. આ ટ્રીપ બુક કરવા માટે ઉંમર 18 કે તેથી વધુ હોવી જોઈએ. તમે IRCTC ની સત્તાવાર વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો.