Site icon Revoi.in

કોરોના મહામારીથી પ્રભાવિત સેક્ટર્સ માટે સરકારે 1.1 લાખ કરોડની લોન ગેરંટીની જાહેરાત કરી, સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે પણ 50 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે દેશના અનેક સેક્ટર ખરાબ રીતે પ્રભાવિત થયા હતા ત્યારે હવે આ સેક્ટરનાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સેકટર્સ માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરંટીની જાહેરાત કરી છે. આ સાથે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રાહત પેકેજમાં મેડિકલ સેક્ટરને લોન ગેરંટી આપવામાં આવશે. સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રૂપિયા અને  અન્ય ક્ષેત્ર માટે 60 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન 7.95 ટકાના વ્યાજ પર આપવામાં આવશે. આ સિવાય અન્ય ક્ષેત્રો માટે વ્યાજદર 8.25 ટકાથી વધુ હશે નહીં.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને જાહેરાત કરતા કહ્યું કે, 3 વર્ષ માટે ક્રેડિટ ગેરંટી યોજના છે. નાના ધીરનારને લોનની સુવિધા આપવામાં આવશે. પહેલા 5 લાખ પર્યટકોએ વીઝા શુલ્ક આપવાનું રહેશે નહીં.

પાછલા વર્ષે પણ સરકારે ક્રેડિટ ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી. આ વખતે ઈસીએલજીએસ સ્કીમ હેઠળ 1.5 લાખ કરોડ રૂપિયાની વધારાની લોનની જોગવાઈ કરવામાં આવી છે. ક્રેડિટ ગેરંટી સ્કીમથી 25 લાખ નાના ઉદ્યમિઓને તેનો ફાયદો મળશે. તેમાં વ્યાજનો દર એમસીએલઆર પ્લસ 2 ટકા હશે. તેનો સમયગાળો ત્રણ વર્ષ રહેશે. તેનો લાભ 31 માર્ચ 2022 સુધી લઈ શકાય છે.

પર્યટન ક્ષેત્ર માટે પણ સરકારે મોટુ પગલું ભર્યું છે. તે હેઠળ ટૂરિસ્ટ ગાઇડ અને આ પ્રકારના બીજા લોકોની મદદ કરવામાં આવશે. તેનો લાભ 10700 ટૂરિસ્ટ ગાઇડને મળશે. એક લાખ રૂપિયા સુધીની સહાયતા ટૂરિસ્ટ ગાઇડને આપવામાં આવશે. ટૂરિસ્ટ એજન્સીને 10 લાખ સુધીની મદદ કરવામાં આવશે.

ભારત આવનારા પ્રથમ 5 લાખ ટૂરિસ્ટોએ વીઝા શુલ્ક આપવાનું રહેશે નહીં. 1.93 લાખ પર્યટક 2019માં ભારત આવ્યા હતા. આવા ટૂરિસ્ટ એવરેજ 21 દિવસ ભારતમાં રહે છે. તે પ્રતિદિન એવરેજ 2400 રૂપિયા ખર્ચ કરે છે. આ સ્કીમ આગામી વર્ષે 31 માર્ચ સુધી જારી રહેશે.