નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીને પેન-એન્ડ-પેપર (ઓફલાઇન) મોડમાંથી હટાવીને કમ્પ્યુટર-બેઝ્ડ ટેસ્ટ (સીબીટી) માં ફેરવવા તથા JEE ની જેમ તેને વર્ષમાં બે તબક્કામાં યોજવા અંગે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એક સોગંદનામામાં શિક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે આ મામલે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર નંદન નીલેકણીની અધ્યક્ષતાવાળી હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સની ભલામણોની રાહ જોઈ રહી છે. મંત્રાલયના જણાવ્યાનુસાર, ટાસ્ક ફોર્સ દ્વારા પરીક્ષાની સુરક્ષા, ટેકનિકલ ક્ષમતા, પારદર્શિતા, માળખાકીય સુવિધાઓ અને વિદ્યાર્થીઓ પર પડનારી અસરો સહિતના તમામ પાસાઓનું અત્યારે ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે નીટ યુજીને કમ્પ્યુટર આધારિત બનાવવી કે નહીં.
સરકારે સુપ્રીમ કોર્ટને સ્પષ્ટ કર્યું છે કે, પરીક્ષા પદ્ધતિમાં ફેરફારનો નિર્ણય માત્ર ટેકનિકલ ક્ષમતાના આધારે નહીં લેવાય, પરંતુ સામાજિક સમતુલા અને સમાનતાને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે. મંત્રાલયે નોંધ્યું છે કે, દર વર્ષે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, જેમાં ગ્રામીણ વિસ્તારો અને આર્થિક રીતે નબળા વર્ગોના તેમજ મોટી સંખ્યામાં મહિલા વિદ્યાર્થીઓ સામેલ છે. જેથી કોઈપણ નવી વ્યવસ્થાથી કોઈ ખાસ વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
-
શિક્ષણવિદો અને નિષ્ણાતોના મત
નિષ્ણાતોનું માનવું છે કે સીબીટી મોડ લાગુ થવાથી પ્રશ્નપત્રોની સુરક્ષા મજબૂત બનશે અને પેપર લીક જેવા દુષણો પર અંકુશ મેળવી શકાશે. બીજી બાજુ, ગ્રામીણ ક્ષેત્રોના કેટલાય વિદ્યાર્થીઓ પાસે કમ્પ્યુટર ચલાવવાનો પૂરતો અનુભવ હોતો નથી. વ્યાપક તાલીમ વિના સીબીટી લાગુ કરવું અસમાનતા વધારી શકે છે. 22 લાખથી વધુ ઉમેદવારો માટે દેશભરમાં પૂરતી કમ્પ્યુટર લેબ, હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને તકનીકી સહાય પૂરી પાડવી એ તંત્ર માટે મોટો પ્રશાસનિક પડકાર છે.
નિષ્ણાતોના મતે, જો ભવિષ્યમાં કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ તરફ આગળ વધવું હોય, તો પહેલા પાયલોટ પ્રોજેક્ટ, મોટા પાયે મોક ટેસ્ટ અને ડિજિટલ તાલીમ અભિયાન ચલાવવા જોઈએ. હાલ સરકારના વલણ પરથી સ્પષ્ટ છે કે, નીટ યુજીની પેટર્નમાં કોઈ પણ ઉતાવળિયો ફેરફાર કરવામાં આવશે નહીં, અને તમામ પક્ષોના વ્યાપક સર્વેક્ષણ બાદ જ અંતિમ નિર્ણય લેવાશે.

