Site icon Revoi.in

ઈન્ટરનેટનો વધુ ઉપયોગ મગજ માટે નુકસાનકારક, સ્મરણશક્તિ અને એકગ્રતામાં ઉણપનું કારણ : રિપોર્ટ

Social Share

મેલબર્ન: ઈન્ટરનેટના વધુ ઉપયોગથી આપણા દિમાગમાં પરિવર્તન આવી શકે છે. તેનાથી ધ્યાન, સ્મરણશક્તિ અને સામાજિક સંપર્ક અસરગ્રસ્ત થઈ શકે છે. આ જાણકારી ઓસ્ટ્રેલિયામાં થયેલા એક અભ્યાસમાં સામે આવી છે. વર્લ્ડ સાઈકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે, ઈન્ટરનેટ જ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રોમાં તીવ્ર અને લાંબાગાળાનું પરિવર્તન કરી શકે છે.

બ્રિટનની ઓક્સફોર્ડ અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ મુખ્ય અવધારણાઓને ચકાસી કે ઈન્ટરનેટ કેવી સંજ્ઞાનાત્મક પ્રક્રિયાઓને બદલી શકે છે. આ સંશોધન મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સા અને ન્યૂરોઈમેજિંગ શોધના તાજેતરના નિષ્કર્ષોના આદારે તૈયાર કરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના સિનિયર રિસર્ચ ફેલો જોસેફ ફર્થે કહ્યુ છે કે આ રિપોર્ટમાં મુખ્યત્વે એ વાત સામે આવી છે કે ઈન્ટરનેટના વધારે ઉપયોગથી દિમાગના ઘણાં હિસ્સા અસરગ્રસ્ત થઈ શકે છે. ઉદાહરણ તરીકે સતત ઈન્ટરનેટના ઉપયોગથી નોટિફિકેશન અને માહિતી આપણું ધ્યાન તેના તરફ લગાવવા માટે પ્રેરીત કરે છે. તેનાથી કોઈ એક કામ પર ધ્યાન લગાવવાની ક્ષમતા અસરગ્રસ્ત થાય છે.

રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ દિમાગની સંરચના, કાર્ય અને સંજ્ઞાનાત્મક વિકાસને કેવી રીતે અસરગ્રસ્ત કરી શકે છે. તાજેતરના સમયમાં સોશયલ મીડિયા સાથે આ ઓનલાઈન તકનીકોને વ્યાપક રૂપથી અપનાવું શિક્ષકો અને વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 2018માં કહ્યુ હતુ કે નાના બાળકો-બેથી પાંચ વર્ષની વયજૂથના- ને પ્રતિદિન એક કલાકથી વધુ સ્ક્રીનના સંપર્કમાં રાખવા જોઈએ નહીં. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મસ્તિષ્ક પર ઈન્ટરનેટની અસરોની તપાસ કરનારા મોટાભાગના સંશોધનો પુખ્તવયના લોકો પર કરવામાં આવ્યા છે. તેના કારણે યુવાનોમાં ઈન્ટરનેટના ઉપયોગથી થનારા ફાયદા અને નુકસાનને નિર્ધારીત કરવા માટે વધુ સંશોધન કરવાની જરૂરિયાત છે.

રિસર્ચ ફેલો જોસેફ ફર્થે કહ્યુ છે કે બાળકોને ઈન્ટરનેટની નકારાત્મક અસરોથી બચવા માટે સંશોધનની જરૂરત છે.  વાલીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના બાળકો ડિજિટલ ડિવાઈસ પર વધારે સમય તો વિતાવી રહ્યા નથી ને. માતાપિતા બાળકોની શારીરિક ગતિવિધિઓ પર વધારે ધ્યાન આપે.