Site icon Revoi.in

અમદાવાદમાં તાજીયાનું જુલુસ નહીં નીકળેઃ  ઘરમાં કે મેદાનમાં તાજીયાની ધાર્મિક વિધિ કરી શકાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી આસ્થા અને શ્રદ્ધા સાથે ઇમામ હુસેનની યાદમાં દર વર્ષે યોજાતા તાજીયા જુલુસને આ વર્ષે પણ કોરોનાના સંક્રમણના ડરના કારણે નહી કાઢવાનો નિર્ણય છે. મહોરમ માસ દરમિયાન બંદગી, ઈબાદત સાથે ઇમામ હુસેનની શહાદતની યાદમાં તાજીયા-જુલુસ દરેક શહેરમાં નીકળે છે. જો કે કોરોના મહામારીના કારણે ગત વર્ષે તાજીયાનું જુલુસ અમદાવાદમાં નીકળ્યું ન હતું. આ વર્ષે પણ 19મી ઓગસ્ટના રોજ મહોરમના દિવસે અમદાવાદ શહેરમાં તાજીયાનું જુલુસ ન કાઢવાનો મહોરમ તાજીયા કમિટિએ નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ જેસીપી પ્રેમવીરસિંહ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહોરમ તાજીયા કમિટિએ બેઠક મળી હતી. અને કોરોના તેમજ સરકારની લોકોના ભેગા ન થવાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જુલુસ ન કાઢવાનો નિર્ણય લીધો હતો. મહોરમ તાજીયા કમિટિના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહોરમ દરમિયાન તાજીયા જુલુસ કાઢવા અંગે આજે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી પ્રેમવીરસિંહ, સેકટર-1 જેસીપી આર.વી અંસારી અને તમામ ઝોનના ડીસીપી સાથે મહોરમ તાજીયા કમિટિએ બેઠક કરી હતી. બેઠકમાં કમિટીએ કોરોના મહામારી તેમજ સરકારની લોકોના ભેગા ન થવાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જુલુસ ન કાઢવાનો નિર્ણય જણાવ્યો હતો.  જો કે લોકો પોતાના ઘર અથવા મેદાનમાં ક્યાંય તાજીયા રાખી જે ધાર્મિક વિધિ કરવાની છે તે કરી શકશે. પરંતુ જાહેરમાં ક્યાંય તાજીયાનું જુલુસ કાઢી શકશે નહીં. મહોરમના તહેવાર પર તાજીયા શહેરના જુદાજુદા વિસ્તારમાં ફરે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જો કે ચાલુ વર્ષે કોરોનાના લીધે દરેક કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવી રહ્યા છે.

Exit mobile version