Site icon Revoi.in

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ લોકસભામાં વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લવાશે

Social Share

નવી દિલ્હી, 10 માર્ચ 2026: બજેટ સત્રના બીજા તબક્કામાં દેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષી દળો હવે લોકસભા સ્પીકર બાદ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. જો તૃણમૂલ કોંગ્રેસ  અને અન્ય વિપક્ષી દળો આમાં સફળ રહેશે, તો ભારતીય સંસદના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે.

તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પીકરના મામલા બાદ તરત જ CEC વિરુદ્ધ નોટિસ આપવા માટે વિપક્ષને એકજૂથ કરવામાં આવી રહ્યો છે. TMC ના વરિષ્ઠ સાંસદોએ દાવો કર્યો છે કે કોંગ્રેસ સૈદ્ધાંતિક રીતે આ પ્રસ્તાવ પર સહમત થઈ છે. હવે અન્ય પ્રાદેશિક પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ માટે જરૂરી 100 સાંસદોના હસ્તાક્ષર મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ વિવાદના મૂળમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલું ‘મતદારી યાદી વિશેષ પુનરીક્ષણ અભિયાન’ (SIR) છે. TMC નો આરોપ છે કે આ અભિયાન હેઠળ પશ્ચિમ બંગાળમાં અંદાજે 60 લાખ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે ધરણા શરૂ કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે CEC કેન્દ્રની સત્તાધારી ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે. સોમવારે જ્યારે CEC જ્ઞાનેશ કુમાર બંગાળની મુલાકાતે પહોંચ્યા ત્યારે એરપોર્ટ અને મંદિર પરિસરમાં તેમનો કાળી પટ્ટીઓ બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

તૃણમૂલ કોંગ્રેસને લાગે છે કે, CEC વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને મતદારી યાદીમાંથી નામ કાઢી નાખવાના મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ચમકાવી શકાય છે. વિપક્ષ આ વ્યૂહરચના દ્વારા આગામી ચૂંટણીઓમાં જનતાની સહાનુભૂતિ મેળવવા અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવા માંગે છે.

આ પણ વાંચોઃ અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં: ટ્રમ્પ

Exit mobile version