Site icon Revoi.in

ખેડૂતોના નામે વિપક્ષનો અરાજકતા ફેલાવવાનો પ્રયાસઃ સી.આર.પાટીલ

Social Share

 

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે ભાજપ દ્વારા ખેડૂતોને કાયદા અંગે માહિતગાર કરવાના પ્રયાસો શરૂ કર્યાં છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખેડૂત સંમેલન યોજવામાં આવશે. કૃષિ બિલના સમર્થનમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતીગાર કરવામાં આવશે. દરમિયાન ખેડૂત આંદોલનને લઈને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ખેડૂતોના નામે વિપક્ષ અરાજકતા ફેલાવવાના પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કૃષિ બિલમાં ખેડૂતની ઉપજના કોન્ટ્રાક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતની જમીનનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં કોન્ટ્રાક્ટ કર્યા બાદ 3 દિવસમાં જ ખેડૂતને પેમેન્ટ મળી જશે. જો કોન્ટ્રાક્ટમાં કોઈ પ્રોબ્લેમ થાય તો કલેકટર દ્વારા 30 દિવસમાં ખેડૂતને ન્યાય આપવામાં આવશે. ત્યારે વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરીના રાજનીતિ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ બિલ ખેડૂતોના હિતમાં છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની આવકમાં વધારો થાય તે દિશામાં કામગીરી કરી રહી છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે રૂ, છ હજાર જમા કરાવવાનો નિર્ણય કર્યો હતો. જેથી હાલ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂ. છ હજાર જમા થાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં અનેક કામગીરી કરી છે. ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાનના ઝંડા ક્યાંથી આવે છે અને ખેડૂતોને અનાજની ક્યાંથી વ્યવસ્થા કરવામાં આવે છે તેવા પણ સવાલો ઉભા થાય છે. દેશમાં લેફ્ટનું અસ્તિત્વ ભૂસાંય રહ્યું છે, આમ આદમી પાર્ટી માત્ર દિલ્હી પૂરતી મર્યાદીત છે. જ્યારે કોંગ્રેસ પણ દેશમાંથી ધીરે-ધીરે ખતમ થઈ રહી છે. ત્યારે એ સમજવું મહત્વનું છે કે, ખેડૂત આંદોલનમાં ખેડૂતો કેટલા છે અને રાજકીય પાર્ટીઓ કેટલી છે.

ગુજરાતમાં કૃષિ કાયદના કમર્થનમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલન કરવામાં આવશે. આવતીકાલે બારડોલીથી ખેડૂત સંમેલનની શરૂઆત કરવામાં આવશે. આ સંમેલનમાં ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કરવામાં આવશે.