કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 625 ‘ઉડાન રૂટ’ કાર્યરત થઈ ગયા છે, જે સમગ્ર ભારતમાં 90 એરપોર્ટને જોડે છે. આ સાથે, UDAN હેઠળ 1.49 કરોડથી વધુ મુસાફરોને સસ્તા દરે પ્રાદેશિક હવાઈ મુસાફરીનો લાભ મળ્યો છે. UDAN યોજના 21 ઓક્ટોબર, 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી અને પ્રથમ UDAN ફ્લાઇટ 27 એપ્રિલ, 2017ના રોજ શિમલા અને દિલ્હી વચ્ચે ચલાવવામાં આવી હતી.
ભારતનું એરપોર્ટ નેટવર્ક 2014માં 74 એરપોર્ટથી વધીને 2024માં 159 એરપોર્ટ થવાનો અંદાજ છે, જે એક દાયકામાં બમણાથી વધુ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે વંચિત અને દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) તરીકે ₹4,023 કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે.
વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) યોજના હેઠળ, સરકાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. UDANએ પ્રાદેશિક પર્યટન, આરોગ્ય સંભાળની સુલભતા અને વેપારને મજબૂત બનાવ્યો, જેનાથી ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં આર્થિક વૃદ્ધિને વેગ મળ્યો. સામાન્ય માણસ માટે સસ્તી હવાઈ મુસાફરીનું સ્વપ્ન પહેલી ઉડાન સાથે સાકાર થયું.
ઉડાન યોજનાની કલ્પના રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ (NCAP) 2016 હેઠળ કરવામાં આવી હતી. જેથી 10 વર્ષના વિઝન સાથે નાણાકીય રીતે સમર્થિત મોડેલ દ્વારા ટિયર-2 અને 3 શહેરોને જોડવામાં આવે. આ યોજનાએ એરલાઇન્સને કન્સેશન અને VGF દ્વારા પ્રાદેશિક રૂટ પર સંચાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા, જેનાથી સસ્તા ભાડા અને સારી સુલભતા સુનિશ્ચિત થઈ.
મંત્રાલયે કહ્યું, “UDANએ ફક્ત એક નીતિ જ નથી. તે એક પરિવર્તનશીલ ચળવળ છે, જેણે ભારતમાં ઉડ્ડયનને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. આ યોજનાએ લાખો લોકો માટે સસ્તી હવાઈ મુસાફરીનું સ્વપ્ન સાકાર કર્યું છે.”

