અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તે કારણે હવે ઓક્સિજનની માગ પણ ઓછી થઈ રહી છે. 10 દિવસ પહેલાં શહેરની હોસ્પિટલોમાં લગભગ 325 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો વપરાશ હતો, જે હવે ઘટીને 225 મેટ્રિક ટન થયો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 10-12 દિવસથી કોરોનાના કેસ ઘટતા જાય છે. પખવાડિયા પહેલા જ રોજના 5000થી વધુ કેસ નોંધાતા હતા. પણ હવે કોરોનાના કેસની સંખ્યા ઘટીને 3000ની થઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ પણ હવે મળી જાય છે. આ ઉપરાંત શહેરમાં જુદાજુદા રિફિલિંગ પ્લાન્ટમાંથી હોસ્પિટલોને ઓક્સિજન મળી રહ્યો છે.
છેલ્લા એક મહિના દરમિયાન ઓક્સિજન પર નિર્ભર કોરોનાના દર્દીઓની સંખ્યા વધી હતી તે કારણે અમદાવાદમાં જ ઓક્સિજનનો વપરાશ 6 ગણો વધ્યો હતો. હવે કોરોનાના કેસ ઘટતા ઓક્સિજનનો વપરાસ પણ ઘટતો જાય છે. 10 દિવસ પહેલાં શહેરની હોસ્પિટલોમાં લગભગ 325 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો વપરાશ હતો, જે હવે ઘટીને 225 મેટ્રિક ટન થયો છે. આમ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં ઘટાડો થયો છે.
સત્રોએ ઉમેર્યુ હતું કે, માત્ર અમદાવાદ જ નહીં અન્ય શહેરોમાં પણ કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં ઘટાડો થતા હવે સ્થિતિ સુઘરી રહી હોવાનું લાગી રહ્યું છે