Site icon Revoi.in

પાકિસ્તાને કરતારપુર સાહિબ ગુરુદ્વારા સંકુલમાં પાર્ટીનું આયોજન કરી શિખ સમુદાયની આસ્થાને પહોંચાડી ઠેસ

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારાને અપવિત્ર કરવાના સમાચાર સામે આવતા હોબાળો મચી ગયો છે. બીજેપી નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC)ના ભૂતપૂર્વ પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ આરોપ લગાવ્યો છે કે, 18 ઓક્ટોબરે પાકિસ્તાની અધિકારીઓએ ગુરુદ્વારાના પરિસરમાં દારૂ અને માંસાહારીનું સેવન કર્યું હતું. તેમણે એક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, કરતારપુર ગુરુદ્વારા પ્રશાસને કરતારપુર સાહિબ સંકુલમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરીને ગુરુદ્વારાને અપવિત્ર કર્યું છે. કરતારપુર સાહિબ કોરિડોરમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના સીઈઓ સૈયદ અબુ બકર કુરેશી પર આ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ છે.

ભારતીય સુરક્ષા એજન્સીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “શ્રી દરબાર સાહિબના દર્શની દેવરી (મુખ્ય દ્વાર)થી 20 ફૂટના અંતરે આયોજિત પાર્ટી રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી. તેમાં નારોવાલના ડેપ્યુટી ડો. કમિશનર મોહમ્મદ શાહરૂખ, નારોવાલ જિલ્લા પોલીસ અધિકારીઓ સહિત વિવિધ સમુદાયના 80 થી વધુ લોકો સામેલ હતા.

મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું, “હું પાકિસ્તાન સરકારને તમામ આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરું છું. અમે આ પાર્ટીના આયોજનથી ખૂબ જ નિરાશ છીએ. તેમણે કહ્યું હતું કે, દુનિયાના ભરનો શિખ સમુદાય અમારા પવિત્ર સ્થળના અપમાનથી પોતાની સાથે ઠગાઈ થયાનું માની રહ્યો છે. હું આ સંબંધમાં પાકિસ્તાન સરકાર પાસેથી તાત્કાલિક જવાબદારી અને કાર્યવાહીની માંગ કરું છું.” પંજાબના 12 ધારાસભ્યો પાકિસ્તાનમાં કરતારપુર ગુરુદ્વારા સાહિબ જશે અને પૂજા કરશે. પંજાબ વિધાનસભા સચિવાલયે માહિતી આપી હતી કે, 13 ધારાસભ્યો ગુરુદ્વારાની મુલાકાત લેશે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય નરેશ પુરીએ કેટલાક વ્યસ્ત શેડ્યૂલને ટાંકીને જવાનો ઇનકાર કર્યો છે.