Site icon Revoi.in

પાકિસ્તાને લશ્કર અને જૈશ સામે આકરી કાર્યવાહી જોઈએઃ અમેરિકાન સાંસદ

Social Share

વોશિંગ્ટન , 23 એપ્રિલ 2026: અમેરિકાના પ્રભાવશાળી સાંસદ બ્રેડ શર્મને પાકિસ્તાનને આડે હાથ લેતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તે પોતાની ધરતી પર પલતા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પર તાત્કાલિક નકેલ કસે. વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત ‘આતંકવાદની માનવીય કિંમત’ વિષય પરની એક વિશેષ પ્રદર્શનમાં શર્મન સહિત અનેક અમેરિકી નેતાઓએ પાકિસ્તાનના બેવડા ચહેરાને ખુલ્લો પાડ્યો હતો.

ડેમોક્રેટ નેતા બ્રેડ શર્મને વર્ષ 2025માં કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાને યાદ કરતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. શર્મને જણાવ્યું હતું કે, “આ હુમલા પાછળ ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (ટીઆરએફ) નો હાથ હતો, જે સીધી રીતે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે. આ સંગઠનોને પાકિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે, જે હવે સ્વીકાર્ય નથી.”

ભારતીય દૂતાવાસમાં યોજાયેલી આ ડિજિટલ પ્રદર્શનમાં ભારત પર થયેલા મોટા આતંકી હુમલાઓની તસવીરો અને દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ, 26/11 મુંબઈ હુમલો અને 2025 પહેલગામ આતંકવાદી હુમલાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન દ્વારા તે આતંકી સંગઠનો અને તેમના આકાઓની ઓળખ જગજાહેર કરવામાં આવી જેઓ પાકિસ્તાની ધરતી પરથી પોતાની ગતિવિધિઓ ચલાવે છે. ભારત પર જ્યારે પાકિસ્તાન શાંતિદૂત બનીને અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી કરવાનો ઢોંગ કરી રહ્યું છે, ત્યારે જ આ પ્રદર્શન દ્વારા તેની વાસ્તવિકતા દુનિયા સામે લાવવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન 7 મે, 2025 ના રોજ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત લશ્કર અને જૈશના 9 અડ્ડાઓને જમીનદોસ્ત કર્યા હતા. આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે સતત 88 કલાક સુધી ભીષણ લશ્કરી સંઘર્ષ ચાલ્યો હતો, જેનો અંત 10 મેની સાંજે આવ્યો હતો.

ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, “આતંકવાદ માનવતાનો દુશ્મન છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત આ આતંકને જડમૂળથી ઉખાડી ફેંકવા કટિબદ્ધ છે.” આ ઉપરાંત અમેરિકી સાંસદ રો ખન્નાએ જણાવ્યું હતું કે, “ભૂતપૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ 90ના દાયકામાં જ આ ખતરાની ચેતવણી આપી હતી, જે આજે સાચી સાબિત થઈ રહી છે.” તેમજ રિચર્ડ મેકકોર્મિકએ જણાવ્યું હતું કે, “હિંસા દ્વારા આપણી વિવિધતાને ખતમ કરવા માંગતા તત્વો જ અસલી દુશ્મન છે. ભારત અને અમેરિકાએ સાથે મળીને લડવું પડશે.”

આ પ્રદર્શનમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક એમ બંને પક્ષના સાંસદોની હાજરી સૂચવે છે કે આતંકવાદના મુદ્દે અમેરિકામાં ભારત પ્રત્યે મજબૂત સમર્થન છે. પાકિસ્તાન માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બચવું મુશ્કેલ બની રહ્યું છે.

આ પણ વાંચોઃ ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો

Exit mobile version