Site icon Revoi.in

નવા વર્ષ પર જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરુ

Social Share

જમ્મુ, 30 ડિસેમ્બર 2025: નવા વર્ષના આગમન પૂર્વે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પાકિસ્તાન દ્વારા એક કાવતરુ રચવામાં આવ્યાના ગુપ્તચર અહેવાલો પ્રાપ્ત થયા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને મળેલી આ બાતમી બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.

પાકિસ્તાન તરફથી થતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને તાત્કાલિક ડામી દેવા માટે સીમા સુરક્ષા દળ (BSF) ને સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું છે. સરહદ પર વધારાના જવાનોની તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને નદીઓ, નાળાઓ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં BSFના જવાનોને ચોવીસ કલાક અદ્યતન હથિયારો સાથે કડક ચોકસાઈ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

શિયાળાની ઋતુમાં જ્યારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટી જાય છે, ત્યારે પાકિસ્તાની આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા હોય છે. આ ઉપરાંત, ઘણીવાર પાકિસ્તાની રેન્જર્સ કે આતંકી સંગઠનો ઓછી વિઝિબિલિટીનો લાભ ઉઠાવીને ભારતીય સરહદમાં IED (વિસ્ફોટક) પ્લાન્ટ કરીને ભાગી જવાની ફિરાકમાં હોય છે, જેથી BSFના જવાનોને નુકસાન પહોંચાડી શકાય.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ની આ નાપાક સાજિશને નિષ્ફળ બનાવવા માટે BSF દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શંકાસ્પદ વિસ્તારોમાં જમીનમાં છુપાયેલા વિસ્ફોટકો શોધવા માટે મેટલ ડિટેક્ટરથી તપાસ કરવામાં આવી રહી છે. જમીનમાં દાટવામાં આવેલી કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટકને સમયસર પકડી પાડવા માટે તાલીમબદ્ધ ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે. તેમજ સરહદી વિસ્તારોમાં BSF દ્વારા હાઈ-એલર્ટ મોડમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

BSF ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સીમા પારથી થતા કોઈપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સુરક્ષા દળો સંપૂર્ણ રીતે તૈયાર છે. સરહદ પર પક્ષી પણ પાંખ મારી શકશે નહીં.”

આ પણ વાંચોઃ નવા વર્ષ પૂર્વે વૈષ્ણો દેવીમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Exit mobile version