Site icon Revoi.in

પાવાગઢમાં રોપ-વેના પિલરની ગરગડીમાંથી કેબલ ઉતરી જતાં ઉડનખટોલામાં યાત્રિકો ફસાયાં

Social Share

પાવાગઢઃ યાત્રાધામ પાવાગઢમાં ગુરૂવારે સાંજે  રોપવેમાં ટેક્નીકલ ખામી સર્જાતા ઘણાબધા યાત્રિકો ઉડનખટોલામાં અધવચ્ચે જ લટકીને અટવાઈ ગયા હતા. તંત્ર અને રોપવેના ઈજનેરો દ્વારા પ્રવાસીઓને ઉડનખટોલામાંથી સહી સલામત ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. 10 બોગીમાં ફસાયેલા યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.

યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરૂવારે મોડી સાંજે રોપ-વેનાં પિલર નંબર- 4ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે સેવા અટકી ગઈ હતી. તેમજ ઉડનખટોલાની 10થી વધુ બોગીમાં સવાર કેટલાક યાત્રાળુઓ પણ અધવચ્ચે અટવાયા હતા. ઘટના બનતાં જ તાત્કાલિક કેબલને ફરીવાર ગરગડી પર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું. અડધો કલાક ચાલેલી આ કામગીરી દરમિયાન ઉપર ફસાયેલા યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ સમગ્ર બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે રોપ-વેનું સંચાલન ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવે છે. કેબલ ઉતરી જવાની ઘટના બનતાં જ સંચાલકો દ્વારા યાત્રિકોને સલામત રીતે નીચે ઉતારવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સાથે જ જે લોકો ઉડનખટોલાની બોગીમાં ફસાયા હતાં તેઓ પેનિક ન કરે તે માટે લાઉડ સ્પીકરમાં વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ રોપ-વેની સેવા શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ચાર મહિના અગાઉ પાવાગઢના માચી ખાતે નવા બની રહેલા રેનબસેરાના પિલ્લરનો કેટલોક હિસ્સો તૂટી પડતાં દર્શન કરવા આવેલા 3 મહિલા, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં, જ્યારે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારની એક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આ રેનબસેરાના કાટમાળને હટાવતા ફરી એકવાર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ચાર મજૂરો દટાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા.