Site icon Revoi.in

PM મોદી 27મીએ પરીક્ષા પે ચર્ચા કરશે, વસ્ત્રાપુરની કેન્દ્રિય વિદ્યાલય નોડલ સ્કુલ તરીકે પસંદ

Social Share

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી‘પરીક્ષા પે ચર્ચા’ 27મી જાન્યુઆરીએ કરશે. કાર્યક્રમનું છઠ્ઠુ સંસ્કરણ 27 જાન્યુઆરીએ દિલ્હીથી કરાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી જીસીઈઆરટી દ્વારા બે વિદ્યાર્થી અને એક અનુરક્ષક શિક્ષકની પસંદગી થઈ છે. જે અંતર્ગત  કાલે 23 જાન્યુઆરીએ અમદાવાદમાં ચિત્રકલા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સીબીએસઈ તથા રાજકીય વિદ્યાલયના 100 વિદ્યાર્થીઓ ભાગ લેશે. ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયને ભારત સરકારે નોડલ સ્કૂલ તરીકે પસંદગી કરી છે.

દિલ્હીથી  વડાપ્રધાન મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે. જેમાં દાહોદમાં ધોરણ 10માં ભણતી યુગ્મા લલિતભાઈ લબાના અને અમદાવાદમાં ધોરણ 9માં અભ્યાસ કરતા દક્ષ ભદ્રેશભાઈ પટેલ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે સરકારી સ્કૂલના શિક્ષિકા પ્રાર્થનાબેન મહેતા એક એસ્કોર્ટ ટીચર તરીકે વિદ્યાર્થીઓની સાથે ભાગ લેશે.

બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શાળાકીય વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુસ્તક એક્ઝામ વોરિયર વિતરણ કરવામાં આવશે. આ પુસ્તકમાં પરીક્ષાના ડરને દૂર કરવા માટે અમુક અનુભવો અને ચર્ચાનો ઉલ્લેખ કર્યો છે. જેના ભાગરુપે રાજ્ય સરકારે ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને સર્ટિફિકેટ આપવાની યોજના પણ બનાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરતા હોય છે. વિદ્યાર્થીઓ મનમાં પરીક્ષાનો ડર દુર થાય અને તેમનામાં આત્મ વિશ્વાસ ઊભો થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે.