Site icon Revoi.in

વડાપ્રધાન મોદી આજે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ,1.7 લાખથી વધુ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું કરશે વિતરણ

Social Share

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ 6 ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે સંવાદ કરશે. વડાપ્રધાન આ પ્રસંગે યોજના હેઠળ 1,71,000 લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

જો વાત કરવામાં આવે સ્વામિત્વ યોજના વિશે તો સ્વામિત્વ પંચાયતી રાજ મંત્રાલયની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વસાહતી વિસ્તારોના રહેવાસીઓને મિલકત અધિકારો પૂરો પાડવાનો છે. આ યોજના શહેરી વિસ્તારોની જેમ લોન અને અન્ય નાણાકીય લાભો માટે ગ્રામજનો દ્વારા નાણાકીય સંપત્તિ તરીકે મિલકતનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો કરશે. તેનો હેતુ નવીનતમ સર્વેક્ષણ ડ્રોન-ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વસતી જમીનોનું સીમાંકન કરવાનો છે. આ યોજનાએ દેશમાં ડ્રોન ઉત્પાદનની ઇકોસિસ્ટમને પણ પ્રોત્સાહન આપ્યું છે.

આ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. જલદી જ મેપિંગ, સર્વેનું કામ પૂર્ણ થશે, સરકાર પોતે જ તમામ લોકોને તેમની મિલકતનું કાર્ડ આપશે. ગ્રામ્ય સર્વે પૂર્ણ થયા બાદ પ્રાપ્ત ડેટા પંચાયતી રાજ મંત્રાલયના ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. આ પછી, પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું શરૂ થશે. આ પછી, જિલ્લા સ્તરે કેમ્પ સ્થાપીને જમીન માલિકોને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે.

આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોના રહેવાસીઓને મિલકતના અધિકારો આપવાનો છે, લોકોને લોન અને અન્ય નાણાકીય લાભો લેવા માટે તેમની સંપત્તિનો નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરવા સક્ષમ બનાવીને આર્થિક સ્થિરતા લાવવાનો છે. આ ગ્રામીણ આયોજન અને મિલકત વેરાના આકારણી માટે જમીન રેકોર્ડ બનાવવા તરફ પણ દોરી જશે. સરકારને આશા છે કે આ યોજના મિલકત વિવાદો અને કાનૂની બાબતોમાં ઘટાડો કરશે.