નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી બપોરે ‘સેવા તીર્થ’ ભવન પરિસરના નામકરણનું અનાવરણ કરશે. ત્યારબાદ તેઓ સેવા તીર્થ તેમજ કર્તવ્ય ભવન-1 અને કર્તવ્ય ભવન-2નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. સાંજે સેવા તીર્થમાં યોજાનારી જનસભાને પણ સંબોધશે. સેવા તીર્થમાં પ્રધાનમંત્રી કાર્યાલય ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય પણ સ્થાન પામશે, જે પહેલાં અલગ-અલગ સ્થળોએ કાર્યરત હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલયનું સરનામું બદલાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાઈટેક સુવિધાઓ અને સ્માર્ટ ગ્રિડથી સજ્જ નવા ઓફિસ કોમ્પ્લેક્સ ‘સેવા તીર્થ’નું ઉદ્ઘાટન કરશે. નવા કાર્યાલયની તસવીરો પણ સામે આવી છે.
કર્તવ્ય ભવન-1 અને કર્તવ્ય ભવન-2માં નાણાં મંત્રાલય, રક્ષા મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કોર્પોરેટ બાબતો મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, કાનૂન અને ન્યાય મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, રસાયણ અને ખાતર મંત્રાલય તથા જનજાતિ બાબતો મંત્રાલય સહિતના મહત્વના મંત્રાલયો સ્થાપિત કરવામાં આવ્યા છે. વર્ષો સુધી સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારમાં અનેક સરકારી કચેરીઓ અને મંત્રાલયો અલગ-અલગ અને જૂની ઇમારતોમાં કાર્યરત રહ્યા હતા, જેના કારણે સંકલનમાં મુશ્કેલીઓ, કામગીરીમાં અકાર્યક્ષમતા, વધતા જતાં જાળવણી ખર્ચ અને કામ માટે અનુકૂળ ન હોય તેવા વાતાવરણ જેવી સમસ્યાઓ ઊભી થતી હતી. હવે આધુનિક અને ભવિષ્યમુખી સુવિધાઓ ધરાવતા નવા ભવન કોમ્પ્લેક્સમાં તમામ વહીવટી કામગીરી એકત્રિત થતાં આ સમસ્યાઓમાંથી રાહત મળશે.
બંને ભવન કોમ્પ્લેક્સમાં ડિજિટલ રીતે સંકલિત કચેરીઓ, સુવ્યવસ્થિત જાહેર સંપર્ક ક્ષેત્રો અને કેન્દ્રીકૃત સ્વાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓ સહકાર, કાર્યક્ષમતા, સરળ કામગીરી, નાગરિકોની વધુ ભાગીદારી અને કર્મચારીઓના કલ્યાણને પ્રોત્સાહિત કરશે. 4-સ્ટાર GRIHA ધોરણો મુજબ ડિઝાઇન કરાયેલા આ કોમ્પ્લેક્સમાં નવીનીકરણીય ઊર્જા પ્રણાલીઓ, જળ સંરક્ષણ વ્યવસ્થા, કચરો સંચાલન અને ઉચ્ચ પ્રદર્શન ધરાવતી ઈમારતોનો સમાવેશ થાય છે. આ પગલાંઓથી કામગીરીમાં કાર્યક્ષમતા વધશે અને પર્યાવરણીય અસર પણ નોંધપાત્ર રીતે ઘટશે. ઉપરાંત, સ્માર્ટ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ, મોનિટરિંગ નેટવર્ક અને આધુનિક ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાઓ જેવી સુરક્ષા સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે, જેના કારણે અધિકારીઓ અને મુલાકાતીઓ માટે સુરક્ષિત તથા સુલભ વાતાવરણ સુનિશ્ચિત થશે.

