Site icon Revoi.in

કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું, 4 વર્ષમાં 6 વખત પ્રમુખ બદલાયા

Social Share

અમરેલીઃ જિલ્લાના રાજુલા નગરપાલિકાના પ્રમુખ છત્રજીત ધાખડાએ જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકામાં પ્રમુખે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. પારિવારિક કામના લીધે પ્રમુખ તરીકેનો સમય આપી શકતો ન હોવાથી પ્રમુખ પદ છોડવા માગું છું તેમ લેખિતમાં જણાવી નગરપાલિકા પ્રમુખે જિલ્લા કલેક્ટર સમક્ષ રાજીનામું ધરી દીધું હતું. જેને લઈ આગામી દિવસોમાં ફરી નવા પ્રમુખ રાજુલાને મળી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજુલા નગરપાલિકાની ચૂંટણી સમયે ભાજપના 1 સદસ્ય અને 27 જેટલા કોંગ્રેસના સદસ્યો વિજેતા બનતા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન બન્યું હતું. લોકોએ ખોબલે ખોબલે મત આપી કોંગ્રેસના સદસ્યોને વિજેતા બનાવ્યાં હતા. ત્યારબાદ પ્રથમ પાલિકા પ્રમુખ તરીકે મીનાબેન પ્રવીણભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ 4 વર્ષના શાસનમાં 6 વખત પ્રમુખ બદલાયા છે. આ ચાર વર્ષોમાં કોંગ્રેસમાં ભારે કકળાટ સાથે ઘમાસાણ ચાલી રહ્યું હતું. જેથી એક બાદ એક પાલિકા પ્રમુખ રાજીનામું આપવાનો સિલસિલો ચાલું રહ્યો હતો. ત્યારે હવે નવા 7માં પ્રમુખની વરણી માટે ફરી ચૂંટણી જાહેર કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, રાજુલા નગરપાલિકાના પ્રમુખ છત્રજીત ધાખડાએ અંગત કારણો અને પરિવારીક કામોના કારણે રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે રમેશ કાતરીયા નવા પ્રમુખ બની શકે છે. આવતા દિવસોમાં પ્રમુખ તરીકેની ચૂંટણીની તારીખ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પણ નવા પ્રમુખ માટે નામોની વિચારણા ચાલી રહી છે. સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લઈને નવા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે.