Site icon Revoi.in

રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રામાં વૃંદાવનનું રાધેકૃષ્ણ અને ઉજ્જૈનનું શિવ તાંડવ ગૃપ જોડાશે

Social Share

રાજકોટઃ રાજ્યમાં અષાઢી બીજના દિને અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટ સહિત અનેક શહેરોમાં રથયાત્રા યોજાતી હોય છે. રથયાત્રાને હવે મહિનો પણ બાકી નથી ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 100 વર્ષ બાદ રથ બદલવામાં આવ્યા છે, જ્યારે રાજકોટમાં પણ રથયાત્રાને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તકે વૃંદાવનનું રાધેકૃષ્ણ વૃંદ તેમજ ઉજ્જૈનનું શિવતાંડવ ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સાથે નગરચર્યા કરશે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો રસ્તોઓ પર ઉમટી પડવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રાજકોટના  કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજી બાપુએ જણાવ્યું હતું કે, છેલ્લા 14 વર્ષથી અષાઢી બીજના પાવન દિવસે જ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે 20 જૂનનાં રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નિકળશે. જે અંતગર્ત 4 જૂનનાં રોજ સાંજે 4 વાગે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 151 બહેનો માથે કળશ રહી વાજતે ગાજતે કૂવામાંથી પાણી ભરવા જશે. જે જળથી 19 જૂને ભગવાનને અભિષેક કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતની રથયાત્રામાં વૃંદાવનથી રાધેકૃષ્ણ વૃંદ આવશે. ઉપરાંત ઉજજૈનથી શિવ તાંડવ ગ્રુપ આવશે. જે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલમાં ભગવાન જગન્નાથજીનો શણગાર વૃંદાવનમાં તૈયાર થઇ રહ્યો છે. રથની પૂજન વિધિ થઈ ચૂકી છે અને ભગવાનનાં રથનું સુશોભન કાર્ય ચાલુ છે. બીજી તરફ રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે પોલીસ પણ અત્યારથી જ સતર્ક છે અને રથયાત્રા ઉપરાંત કળશયાત્રા માટે પણ ખાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે