Site icon Revoi.in

વડનગરમાંથી પુરાતત્વ વિભાગને 2000 વર્ષ જૂનુ નગર મળી આવ્યું, વૈભવી કિલ્લો જોઇને રહી જશો દંગ

Social Share

વડનગર: અમરથોળ નજીક વૈશ્વિક કક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યૂઝિયમ બનાવાઇ રહ્યું છે ત્યારે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા પૃથ્વીના પેટાળમાં ધરબાયેલા ઇતિહાસ ઉજાગર કરવા માટે ફરી એકવાર ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું છે. વડનગરમાં ઉત્ખનન દરમિયાન 2000 વર્ષ જૂનો 12થી 14 મીટર લાંબો કિલ્લો મળી આવ્યો છે. 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. 200 મીટર જેટલો કોટ હજુ પણ ખુલ્લો કરાશે. અહીં 1000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. અહીંયા તે ઉપરાંત શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિતળના સિક્કા, માટીના વાસણો તેમજ મકાનો મળી આવ્યા હતા.

ઉત્ખનન પ્રક્રિયા દરમિયાન અનેક નવી વસ્તુઓ મળી આવે છે જેને લઇને સ્થાનિક લોકોમાં ઉત્સુકતા તેમજ કુતુહુલ જોવા મળે છે. અહીં મળી આવેલા મકાનો ગાયકવાડો તેમજ સોલંકી કાળના છે. આ અંગેના અવશેષો પણ મળી આવ્યા છે. પાકા રસ્તા, ગટર અને પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા પાંચ કિલોમીટરનો કોટ મળી આવ્યો છે. તેનાથી એક બાબત સિદ્વ થાય છે કે વડનગરની નીચે એક ખૂબ જ વ્યવસ્થિત નગર હતું.

મહત્વનું છે કે, ગુજરાતનો ઇતિહાસ કેટલો સમૃદ્વ હતો તેનો અ જીવતો જાગતો પુરાવો કહી શકાય. અહીં અવશેષો મળશે ત્યાં સુધી પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવશે. અહીંથી ખૂબજ ઐતિહાસિક વસ્તુઓ અને સંશોધકોને ખૂબ જ મહત્વની વસ્તુઓ મળશે. દેશ તથા રાજ્યના સમૃદ્વ ઇતિહાસનો પણ ખ્યાલ મળશે.

(સંકેત)