Site icon Revoi.in

NIMCJ ખાતે ‘ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

Social Share
જ્ઞાન, શીલ અને આત્મસમ્માન આ ત્રણ વિદ્યાર્થીજીવનની સફળતાનાં મંત્ર છે : ડો.બાબાસાહેબ આંબેડકર

અમદાવાદ, તા.12 એપ્રિલ, 2021: અમદાવાદની જાણીતી પત્રકારત્વ શિક્ષણ સંસ્થા એનઆઈએમસીજે દ્વારા આજરોજ આગામી 14 એપ્રિલના ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની  જન્મજયંતિના ઉપલક્ષે એક ડિજિટલ સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના વક્તા તરીકે જાણીતા વક્તા અને પત્રકાર શ્રીકિશોર મકવાણા રહ્યા હતા. નોંધનીય છે કે કિશોરભાઈ ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનકવનના વિદ્વાન અભ્યાસુ તરીકેની નામના ધરાવે છે, અને સાથે જ ભારતના વિવિધ ભાગોમાં ચાલતી સામાજિક સમરસતા ચળવળ અને તેના બૌદ્ધિક વિચારમંથનના અનેક કાર્યક્રમોમાં સહભાગી રહ્યા છે.

સંસ્થાના નિયામક ડૉ.શિરીષ કાશીકરે વક્તા શ્રીકિશોર મકવાણાનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્ય વિષય એવા ડો.બાબાસાહેબ આંબેડકરજીના સ્વપ્નનું ભારત વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ તો ડો.બાબાસાહેબ આંબેડકરજીના બાળપણના પ્રેરક પ્રસંગો કે જેમણે બાળપણના ભીમરાવને ભવિષ્યના ડો.બાબાસાહેબ તરફ બનવાની પ્રયાણયાત્રામાં મહત્વની ભૂમિકા નિભાવી તે પ્રસંગો વિશે, પછીથી ડો.બાબાસાહેબજીની કિશોરાવસ્થામાં જે પ્રસંગોએ તેમના મનમસ્તિષ્ક પર જે અમીટ છાપ છોડી અને પછીથી કેવી રીતે જિંદગીના વિવિધ પડાવોની સાથે ભારતના મહાન બંધારણ ઘડવૈયાના વ્યક્તિત્વનું ઘડતર થયું અને એક વિરાટ વ્યક્તિત્વનું નિરૂપણ થયું તે જીવનયાત્રા અને તેના મહત્વપૂર્ણ પાત્રો જેવા કે બાળપણના ભીમરાવના શિક્ષક કૃષ્ણાજી કેલુસ્કર, વડોદરાના જે વિદ્વાન ગૃહસ્થના ઘરે ડો.બાબાસાહેબે નિશ્રા લીધેલી તે આત્મારામ અમૃતસરી અને વડોદરાના પ્રજાચિંતક રાજા શ્રીસયાજીરાવ ગાયકવાડ, ભારતની રાજનીતિ મુદ્દે જેમના સંપર્કમાં આવવાથી ડો.બાબાસાહેબ વધુ સક્રિય થયા તેવા પંજાબ કેસરી લાલા લજપતરાય વિગેરે મહાનુભાવો સાથેના સંપર્કો વિશે કિશોરભાઈએ માહિતી આપી હતી.તેમજ બંધારણના ઘડતરમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા તેમણે શ્રમિકો, યુવાઓ,મહિલાઓ માટે કરેલી મહત્વપૂર્ણ જોગવાઈઓની વિગતો આપી હતી.

કાર્યક્રમના અંતે સંસ્થાના વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપીને શ્રીકિશોરભાઈએ તેમની જ્ઞાનપિપાસા સંતોષી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના અનુસ્નાતક,સ્નાતક વર્ગોના વિદ્યાર્થીઓ,પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડૉ શશિકાંત ભગત, સહાયક નિયામક ઇલાબેન ગોહેલ જોડાયા હતા.

(સંકેત)