Site icon Revoi.in

રાજ્યનો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગ ફરીથી બેઠો થશે, રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Social Share

અમદાવાદ: કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા લાદવામાં આવેલા આશિંક લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે અનેક વેપાર-ધંધા પંડી ભાગ્યા છે. તેમાંથી ટૂર્સ-ટ્રાવેલ્સ બિઝનેસ પણ બાકાત નથી. ટૂર્સ અને ટ્રાવેલ્સ ઉદ્યોગને આ સમયમાં મોટો ફટકો પડ્યો છે ત્યારે હવે સરકારે હવે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠો કરવા માટે 3 મહિના સુધી તમામ ખાનગી બસોના ટેક્સ માફ કરવાનો નિર્ણય લીધો છે.

સરકારના નિયંત્રણો દરમિયાન ખાનગી ટ્રાવેલ્સની સેવા બંધ રહી હતી પરંતુ વિવિધ પ્રકારના ટેક્સની ચૂકવણી યથાવત્ રાખવામાં આવી હતી જેને કારણે ટૂર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની હતી. રસ્તાઓ પર ખાનગી બસો દોડાવી કે નહીં તે અંગેના પ્રશ્નો સર્જાયા હતા. કેટલાક ટ્રાવેલ્સ સંચાલકોએ બસો નોનયૂઝ કરી દીધી હતી.

કોરોનાની બીજી લહેરમાં લદાયેલા પ્રતિબંધોથી સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના ટ્રાવેલ્સ સંચાલકોમાં દેખાઇ હતી. સૌરાષ્ટ્રમાંથી ઓપરેટ થતી આશરે 500-600 બસોમાંથી 90 થી 95 ટકા બસોને જુદા જુદા ટ્રાવેલ્સ સંચાલકોએ નોન યૂઝ કરી નાંખી હતી.

રાજકોટ ડેઈલી સર્વિસ બસ એસો.ના પ્રમુખ દશરથસિંહ વાળાએ સરકાર પાસે ત્રણ માંગ કરી હતી. જેમાં સરકાર બે વર્ષ માટે ખાનગી બસોને રાજ્યના ટોલ ટેક્સમાંથી મુક્તિ આપે. તેમજ નોનયુઝ બસ માટે રૂ. 100 નું ટોકન લેવામાં આવે આ અંગે ગઈકાલે સી.એમ રૂપાણી સાથે બેઠક યોજી હતી. જેમાં ટ્રાવેલ્સ સંચાલકોએ ટોલ ટેક્સ, આરટીઓ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, સહિતનાને માફ કરવા સહિતની માંગો કહી હતી. જે પૈકી નોનયુઝ અને રસ્તા ઉપર દોડતી તમામ ખાનગી બસોને આગામી ત્રણ મહિના માટે ટેક્સની માફી આપી હતી.

રાજકોટ ડેઈલી સર્વિસ બસ એસો.ના પ્રમુખ દશરથસિંહ વાળાએ આ મુદ્દે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુનો સમય ઘટાડ્યો તે સારી વાત છે. જેનાથી હવે રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી બસો શહેરમાં પ્રવેશી શકશે.