Site icon Revoi.in

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાને જગન્નાથ મંદિરની મુલાકાત કરી દર્શન-અર્ચન કર્યા

Social Share

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જગ્ન્નાથ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા. તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રાની વિગતો મેળવી હતી.

આ અવસરે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, રથયાત્રાએ ધાર્મિકની સાથોસાથ લોકોત્સવ પણ છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અનેરું મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રા નીકળે છે આપણી પરંપરા રહી છે.

મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા અને શ્રદ્વાને ધ્યાનમાં રાખીને કોવિડની સ્થિતિને પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણ ના પ્રોટોકોલ અને ગાઇડલાઇન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ તેમાં સહયોગ આપે તે આવશ્યક છે.

નગરજનો ઘરે બેઠા દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રા ના લાઈવ ટેલિકાસ્ટ ની વ્યવસ્થાઓ પણ કરવા માં આવી છે તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાન ના દર્શન કરે તેવી અપીલ તેમણે કરી હતી.તેમણે એમ પણ જણાવ્યું કે સૌ સમાજ વર્ગોના સુખ સમૃદ્ધિ અને વિકાસ થી ગુજરાત અડીખમ રહે વિકાસ માં સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે.