Site icon Revoi.in

સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે: ડૉ.મનમોહનજી વૈદ્ય

Social Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન મા. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને મા. સરકાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસાબલેજી દ્વારા ભારત માતાના ચિત્ર પર પુષ્પો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. આ વર્ષે નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ કાર્યકરો ઉપસ્થિત છે.

પ્રતિનિધિ સભાના અનુસંધાનમાં આયોજિત પત્રકાર પરિષદને સંબોધિત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ.મનમોહન વૈદ્યે કહ્યું કે “સંઘ એ સમગ્ર સમાજનું સંગઠન છે.” આપણે છેલ્લા 99 વર્ષથી આનો અનુભવ કરી રહ્યા છીએ. વર્ષ 2017 થી 2024 સુધી સંઘના કાર્યક્ષેત્રનું મૂલ્યાંકન કરીને, તેની વ્યાપકતા ધ્યાન પર આવે છે. દેશના હાલ 99% જિલ્લાઓમાં સંઘનું કાર્ય ચાલી રહ્યું છે.

સંઘના કાર્યક્ષેત્ર વિશે માહિતી આપતા ડૉ.મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે કાર્યની દૃષ્ટિએ સંઘ પાસે 45 પ્રાંત છે, ત્યારબાદ વિભાગો અને ત્યારબાદ જિલ્લા અને ખંડ છે. વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં 4,466 શાખાઓનો વધારો થયો છે. આ શાખાઓમાં 60 ટકા વિદ્યાર્થીઓ અને 40 ટકા વ્યવસાયિકનો સમાવેશ થાય છે. આમાં 40 વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકોની સંખ્યા 11 ટકા છે.

સાપ્તાહિક મિલનની સંખ્યા 27717 છે, જેમાં ગયા વર્ષ કરતાં 840 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે. સંઘ મંડળીની સંખ્યા 10567 છે. શહેરો અને મહાનગરોની 10 હજાર વસ્તીઓમાં 43000 શાખાઓ છે. મહિલા સંકલનના કાર્યમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ અને વિવિધ સંસ્થાઓમાં સક્રિય મહિલા કાર્યકરો દ્વારા 44 પ્રાંતોમાં 460 મહિલા સંમેલન યોજવામાં આવ્યા હતા, જેમાં 5 લાખ 61 હજાર મહિલાઓએ ભાગ લીધો હતો.

અહલ્યાબાઈ હોલકરની જન્મ શતાબ્દી વર્ષ 2024 થી એપ્રિલ 2025 સુધી ઉજવવામાં આવશે. અહલ્યાબાઈ હોલકરે દેશભરમાં ધાર્મિક સ્થળોનું પુનઃનિર્માણ કરાવ્યું અને નિરાધાર લોકોની આર્થિક આત્મનિર્ભરતા માટે ઘણું કામ કર્યું. તેમના યોગદાનને સમગ્ર ભારતમાં ફેલાવવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. ડૉ. મનનોહનજીએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં 100 ટકા મતદાન સુનિશ્ચિત કરવા માટે સંઘના સ્વયંસેવકો ઘરે-ઘરે જઈને જનજાગૃતિ ફેલાવશે.

અયોધ્યામાં રામલલાના અભિષેકને લઈને સંઘનો વ્યાપક જનસંપર્ક થયો હતો. અક્ષત વિતરણ અભિયાન દ્વારા 578778 ગામો અને 4,727 નગરોના કુલ 19 કરોડ 38 લાખ 49 હજાર 71 પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકો સહીત 44 લાખ 98 હજાર 334 રામ ભક્તો જોડાયા.

સંઘ શિક્ષણ વિભાગની રચનામાં નવો અભ્યાસક્રમ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, સંઘ શિક્ષણ વર્ગની રચનામાં, પ્રાથમિક શિક્ષણ વર્ગ 7 દિવસનો હતો, પ્રથમ વર્ષ 20 દિવસનો, બીજો વર્ષ 20 દિવસનો અને ત્રીજો વર્ષ 25 દિવસનો હતો. હવે નવી યોજનામાં 3 દિવસનો પ્રારંભિક વર્ગ, 7 દિવસનો પ્રાથમિક શિક્ષણ વર્ગ અને 15 દિવસનો સંઘ શિક્ષણ વર્ગ અને 20 દિવસનો કાર્યકર વિકાસ વર્ગ-1 અને 25 દિવસનો કાર્યકર વિકાસ વર્ગ-2 રહેશે.

2017 થી 2023 સુધી દર વર્ષે RSS.org ની આ વેબસાઇટ પર RSS માં જોડાવા માટે 1 લાખથી વધુ વિનંતીઓ સતત આવી રહી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં રામ લલ્લાના અભિષેક બાદ આ આંકડા બમણા થઈ ગયા છે. પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેકર મંચ પર ઉપસ્થિત હતા. આ અવસરે અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ શ્રી નરેન્દ્ર કુમારજી અને શ્રી આલોક કુમારજી પણ ઉપસ્થિત રહ્યા હતા.