Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવી શિક્ષણ નીતિના પ્રારંભ પહેલા જ એમફિલનો અભ્યાસક્રમ બંધ કર્યો

Social Share

રાજકોટઃ નવી શિક્ષણનીતિમાં સ્કૂલ એજ્યુકેશનથી લઈને  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણમાં ઘણા બદલાવ કરાયા છે. જેમાં યુનિવર્સિટી કક્ષાએ એમ.ફિલ બંધ કરવા પણ નિર્ણય કરાયો છે. સરકાર સંભવત વર્ષ 2022થી નવી શિક્ષણનીતિ લાગુ કરવાની દિશામાં વિચારી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2021-22ના વર્ષથી જ એમ.ફિલમાં પ્રવેશ આપવાનું બંધ કરી દીધું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં એમ.ફિલમાં અંદાજિત 150થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીજીટીઆર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ ભવનના અધ્યક્ષોને ચાલુ વર્ષે એમ.ફિલમાં પ્રવેશ પ્રક્રિયા નહીં કરવા જણાવી દેવાયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોનું માનવું છે કે નવી શિક્ષણનીતિ લાગુ કરવાની તૈયારીના ભાગરૂપે એમ.ફિલમાં પ્રવેશ પ્રક્રિયા બંધ કર્યો  છે. જ્યારે અધ્યાપકો કહે છે કે એમ.ફિલ બંધ કરવાથી જે વિદ્યાર્થી પીએચડીની તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થીનું સંશોધન કાર્ય નબળું પડી જશે. જોકે એમ.ફિલ બંધ કરાતા માસ્ટર કર્યા બાદ વિદ્યાર્થીઓએ પીએચડી કરવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ સહિતની પરીક્ષાઓ પાસ કરવી પડશે. એમ.ફિલ કરેલા વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રાધાન્ય અપાતું હતું જ્યારે હવે તે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ ઉપર આધારિત રહેવું પડશે.