Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએ,બી.કોમ સહિત 40 જેટલા કોર્ષની 13મી ડિસેમ્બરથી પરીક્ષા લેવાશે

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ  તા. 13મીથી  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ થશે.  બી.એ., બી.કોમ. સહિત જુદા જુદા 40 જેટલા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો ઉપર લેવાશે. આ પરીક્ષામાં એક દિવસમાં બે પેપર લેવાશે જેમાં સવારે 9.30થી 12 કલાક દરમિયાન પહેલા સેશનની પરીક્ષા અને બપોરે 2.30થી 5 કલાક દરમિયાન બીજા સેશનની પરીક્ષા લેવાશે. અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે યુનિવર્સિટીની પરીક્ષા પાછળ ઠેલાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ, કોમર્સ સહિત વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાનો પ્રારંભ તા. 13મી ડિસેમ્બરથી થશે. સવારના 9.30થી 12 કલાકના સેશનમાં જે કોર્સની પરીક્ષા લેવાશે,  એમાં બી.કોમ. (રેગ્યુલર), બીપીએ, બીસીએ, એમપીએડ, એમ.કોમ., એમએસસી, એમબીએ, એમપીએ, એમએસસી આઈટી, એમજેએમસી, પીજીડીએમસી, એલએલએમ, પીજીડીએચએમ, એમ.એડ., બી.ડિઝાઈનની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરના 2.30થી 5 કલાકના સેશનમાં બીએસસી, બીબીએ, બીઆરએસ, બી.એ. (રેગ્યુલર) બીજેએમસી, બીએસ.સી. આઈટી, બીએસડબ્લ્યુ, બી.એ. એલએલબી, બીએલઆઈબી, એમ.એ., એમઆરએસ, એમએસડબ્લ્યુ, પીજીડીસીએ, બી.એ. બી.એડ., એમએલઆઈબી, બીસીએ (2016/2019)ના કોર્સની પરીક્ષા લેવાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અગાઉની પરીક્ષામાં એજ દિવસમાં ત્રણ-ત્રણ પેપર લેવાતા વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકોમાં પણ વિરોધ થયો હતો કેટલાક વિદ્યાર્થીઓને એક જ દિવસમાં બે કે તેથી વધુ પેપર આપવાના હોવાથી તૈયારી કરવામાં પણ મુશ્કેલી પડી હતી. જોકે ગઈ પરીક્ષામાં થયેલા વિરોધમાંથી બોધપાઠ લઇને આ વખતની પરીક્ષામાં યુનિવર્સિટીએ એક દિવસમાં બે પેપર ગોઠવ્યા છે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.