Site icon Revoi.in

વિસ્થાપનની સદીઓ પછી પણ સૌરાષ્ટ્રીયન તમિલોએ પોતાના વારસાને જાળવી રાખ્યોઃ કેન્દ્રીય મંત્રી

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન સોમનાથની પાવન ધરા પર તમિલનાડુથી પધારેલા ભાઈઓ બહેનો સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત,  રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેની પ્રેરક ઉપસ્થિતિમાં વાર્તાલાપ યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રારંભે મંત્રીઓ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વાગત સત્કાર દ્વારા વાર્તાલાપનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે, દેશની વિવિધતા અને તેમાં એકતાને જોડી રાખતા કેટલાક આધાર સ્થંભો વિશે જણાવ્યુ હતુ. મંત્રીએ સોમનાથ મંદિર પર થયેલા વિદેશી આક્રમણો અને સંસ્કૃતિના રખેવાળોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સદીઓ પહેલાં તમિલનાડુમાં વિસ્થાપિત થઈને વસેલાં સૌરાષ્ટ્રીયોએ બે સંસ્કૃતિને જોડી રાખવાનું કામ કરનારા પૂર્વજોને પણ તેમણે સંભાર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, વર્ષ 2015માં લોહપુરુષ અને દેશનું એકીકરણ કરનારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિથી પીએમ નરેન્દ્ર મોદીએ દેશની વિભિન્ન ભાષાઓ, પ્રાંત અને રીતરિવાજના અંતરને ઘડાવાના હેતુથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન’નો પ્રારંભ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી પીએમએ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ભારતનું જ્ઞાન, સંસ્કૃતિ અને વારસો સમગ્ર વિશ્વમાં પ્રચલિત થાય તેવા હેતુથી  પીએમ મોદી આ અભિયાન અંતર્ગત આપણા વારસાને પુન: લોકપ્રિય બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. આઝાદીની લડાઈમાં અનેક વીરોનાં બલિદાનથી રાષ્ટ્રનું નિર્માણ થયું પરંતુ આઝાદીના આ અમૃતકાળે હવે બલિદાન આપવાનો નહીં પરંતુ નવા ભારતના નિર્માણ માટે યોગદાન આપવાનો સમય છે. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે સૌ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનું સૂચન કર્યુ હતુ.

સૌરાષ્ટ્રીયન તમિલ અને તમિલનાડુની સંસ્કૃતિ વિશે તેમણે જણાવ્યુ હતુ કે, વિસ્થાપની સદીઓ બાદ પણ સૌરાષ્ટ્રીયન બાંધવોએ તમિલનાડુમાં પોતાની મૂળ સંસ્કૃતિને જાળવી રાખી છે. અહીંથી વિસ્થાપિત થયેલા સૌરાષ્ટ્રીયનોની હસ્તકલા, વણાટકામ અને કારીગરીના કારણે સૌરાષ્ટ્ર અને તમિલનાડુની સંસ્કૃતિનો અનોખો સંગમ થયો છે. સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોએ પોતાના પૂર્વજનો પગલે ચાલતા તમિલનાડુમાં વારસાને સુદ્રઢ બનાવવાનું કાર્ય કર્યુ છે. આ પ્રસંગે તેમણે પાછલા નવ વર્ષમાં દેશમાં આવેલા વિકાસલશ્રી બદલાવ, વિરાસતોની જાળવણીના, કાશી કોરીડોર, મહાકાલ કોરીડોર, કેદારનાથ મંદિર નવનિર્માણ સહિતના ઉદાહરણો ટાંક્યા હતા. તેમણે રાજસ્થાન અને સોમનાથ ભૂમિના જોડાણ અને વીરોના બલિદાનની ગાથા પણ તેમણે વર્ણવી હતી.