Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં સ્વનિર્ભર શાળાના સંચાલકોએ ફીમાં કર્યો તોતિંગ વધારો, FRC કોઈ નિર્ણય કરતી નથી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ઘણા સમયથી ખાનગી શાળા સંચાલકો ફી વધારાની માગણી કરી રહ્યા છે. ફી નિર્ધારણ કમિટીમાં અપુરતી સભ્ય સંખ્યા તેમજ વિવિધ કારણોસર ફી વધારાને મંજુરી અપાતી નથી. બીજી બાજુ ખનાગી શાળાઓમાં ખર્ચ વધાતો જાય છે. તેને પહોંચી વળવા માટે સંચાલકો ફીમાં વધારો માગી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની 500 જેટલી ખાનગી શાળાઓ દ્વારા પોતાની રીતે જ  ફી વધારો કરી દીધો છે. અને નવા શૈક્ષણિક સત્રથી અમલ કરાશે, જો કે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટીમાં પાંચમાંથી બે સભ્યો જ કાર્યરત છે. ત્રણ જગ્યાઓ ખાલી છે. એટલે પુરતી સભ્ય સંખ્યા ન હોવાથી કારણે ફી વધારો ફી વધારાને મંજુરી મળી શકે તેમ નથી. એટલે આ મુદ્દે વિવાદ ઊભો થવાની પણ શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના 11 જિલ્લાની સ્કૂલોએ માંગેલા ફી વધારા મામલે ફી નિર્ધારણ કમિટી દ્વારા કોઈ જ નિર્ણય લેવાયો નથી. ત્યારે હવે સ્કૂલો દ્વારા જ ફી વધારો કરી દેવામાં આવ્યો છે. જૂની ફીમાં એવરેજ રૂપિયા 2 હજારથી લઈને 10 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની ખાનગી સ્કૂલોમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા ફી નિર્ધારણનો કાયદો લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યના 4 ઝોનમાં ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી. હાલ આ કમિટીમાં 5માંથી 3 સભ્યોની નિમણૂક છેલ્લા 5 માસથી થઈ ન હોવાથી ખાનગી સ્કૂલોની ફી નિર્ધારિત થઈ શકી નથી. રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની કમિટીમાં પણ 5માંથી માત્ર 2 જ સભ્યો રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યયું હતું કે,  રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટી કાર્યરત છે. જે કમિટીમાં હાલ FRC ચેરમેન એવા નિવૃત જજ પી. જે. અગ્રાવત અને શિક્ષણવિદ સભ્ય અશોક સેતા જ છે. જ્યારે ખાનગી સ્કૂલોના પ્રતિનિધિ સભ્ય અજય પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગિરીશ દેવળીયા અને સિવિલ ઇજનેર વી. સી. પાઠકની ટર્મ ગત નવેમ્બર માસથી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા નવી નિમણૂક કરવામાં આવી નથી. જેને લીધે કમિટીમાં માત્ર  બે જ સભ્યો રહ્યાં છે. જોકે, તેમના દ્વારા હાલ ફી વધારો માગ્યો છે, તેવી સ્કૂલોની ફી નક્કી કરવા માટેની કોઈપણ પ્રકારની પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.