Site icon Revoi.in

રાજ્યના પશુપાલન વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે, લમ્પી વાયરસમાં સરકાર નિષ્ફળઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 17 જિલ્લામાં ફસુઓમાં લમ્પી નામના વાયરસથી અનેક પશુઓ મોતને ભેટ્યા છે. હાલ સરકાર દ્વારા પશુઓને વેક્સિન મુકવા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ વેટનરી વિભાગ પાસે પુરતો સ્ટાફ જ નથી. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં 73477  પશુધન વચ્ચે માત્ર એક પશુચિકિત્સા અધિકારી,  105749 પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક,  345718 પશુધન પર માત્ર એક ડ્રેસર,  259288 પશુધન પર માત્ર એક એટેંડન્ટ,  તેમજ 341342 પશુધન પર માત્ર એક પટાવાળાનો સ્ટાફ છે. લમ્પી વારસમાં ગાય માતાના સૌથી વધુ મોત નિપજ્યા છે. ગુજરાતની ભાજપ સરકારની ગુન્હાઈત બેદરકારીથી  લમ્પી વાયરસની મહામારીમાં સર્જાઈ છે..

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે. રાજ્યના પશુપાલન વિભાગમાં પુરતો સ્ટાફ જ નથી. એટલે લમ્પી વાયરસના રોગચાળામાં પુરતા પશુધનને સારવાર આપી શકાતી નથી. રાજ્યમાં 73477 પશુધન પર માત્ર એક પશુચિકિત્સા અધિકારી, 105749 પશુધન પર માત્ર એક પશુધન નિરીક્ષક, 345718 પશુધન પર માત્ર એક ડ્રેસર, 259288 પશુધન પર માત્ર એક એટેંડન્ટ, 341342  પશુધન પર માત્ર એક પટાવાળા છે, તો કઈ રીતે બચશે ગાયમાતા ?

ભાજપ સરકારની ગુન્હાઈત બેદરકારી પર આકરા પ્રહાર કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ડોક્ટરો – પેરામેડીકલ સ્ટાફને અભાવે મોટા પાયે ગુજરાતના નાગરિકો મોતને ભેટ્યા તેવી જ રીતે લમ્પી વાયરસમાં સારવારના અભાવે ગાયમાતા મુગા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પશુચિકિત્સક, ડ્રેસર સહિત સારવાર માટેની મોટા પાયે જગ્યાઓ ખાલી છે. 10 થી વધુ જિલ્લાઓમાં મુગા-પશુઓની સારવાર માટે એકપણ ડ્રેસર ઉપલબ્ધ નથી. ગુજરાતમાં પશુચિકિત્સકની 290 જગ્યાઓ ખાલી છે, પટાવાળા કમ એટેંડન્ટની 294 જગ્યા ખાલી છે. પટાવાળાની 405 જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં 96,34,000 ગાયો સામે સારવાર માટે માત્ર 367 ચિકિત્સક અધિકાર એટલે કે 26,251 ગાયોની સારવાર માટે એક પશુધન ડોક્ટર છે. 37,780  ગાયોના નિરીક્ષણ માટે માત્ર એક પશુ નિરીક્ષક ઉપલબ્ધ છે. ગીર સોમનાથ, પોરબંદર, ડાંગ, નર્મદા, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પશુધનની સારવાર-નિરીક્ષણ માટે પુરતા સ્ટાફને અભાવે પશુધનની પરિસ્થિતિ સતત કથળી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, લમ્પી વાયરસને રોકવા ભાજપ સરકાર પાસે કોઈ નક્કર યોજનાના અભાવે માત્ર કચ્છમાં 20,000 થી વધુ ગાયમાતાના મોત થયાની વિગતો સામે આવી છે. “જ્યાં રસી હોય ત્યા સ્ટાફ ન હોય, જ્યાં સ્ટાફ હોય ત્યા રસી ના હોય આ ભાજપની ગૌમાતા પ્રત્યે નકલી પ્રેમની પોલ ખોલી નાખી છે. માત્રને માત્ર મત લેવા ઉત્સવો અને તાયફાઓમાં જોર જોરથી ગાયમાતાનું નામ લેવાનું પરંતુ જ્યારે ગાયમાતા ખરેખર તકલીફ છે ત્યારે નકલી હિંદુત્વવાળી ભાજપ સરકારનો ચાલ-ચલન, ચહેરો અને ચરિત્ર ગુજરાતના નાગરિકો સામે ખુલ્લો પડી ગયો છે. કોરોનામાં નાગરિકોના આરોગ્ય સેવાઓમાં નિષ્ફળ ભાજપ સરકાર હવે ગાયમાતાના ચિકિત્સા-સારવાર આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે ભાજપ સરકાર પશુચિકિત્સક અધિકારી વર્ગ-૨, ડ્રેસર, એટેંડન્ટની, પશુ નિરિક્ષક સહિતની પશુ દવાખાનામાં ખાલી પડેલ જગ્યા તાકીદે ભરે તેવી માગ છે.