Site icon Revoi.in

ગુજરાતમાં SGST દ્વારા 101 પેટ્રોલ પંપો પર સર્ચ, 22 કરોડની કરચોરી પકડાઈ, 6 કરોડ વસુલાયા

Social Share

રાજકોટઃ રાજ્યમાં કરચારી સામે હવે જીએસટી વિભાગ પણ સક્રિય બન્યો છે. સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગએ 101 જેટલા પેટ્રોલ પંપો ઉપર કરચોરી અંગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. આ દરોડામાં અત્યાર સુધીની તપાસ દરમિયાન SGSTએ કરચોરી પેટે રૂા. 6.01 કરોડની વસુલાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિભાગને સિસ્ટમ બેઝ એનાલીસીસ દરમિયાન ધ્યાનમાં આવ્યુ હતુ કે, પેટ્રોલ પમ્પ સંચાલકો દ્વારા ભરવાનો થતો વેરો (વેટ) યોગ્ય રીતે ભરવામાં આવતો નથી. જેથી સમગ્ર રાજ્યના 101 જેટલા પેટ્રોલ પમ્પ ઉપર કરવેરા ચોરી અગે સર્ચ હાથ ધરાયું હતું. પેટ્રોલ પમ્પાના કિસ્સામાં સમયાંતરે રીટેલ સેલ્સ પ્રાઇઝમાં ફેરફાર થતા હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રીટેલ સેલ્સ પ્રાઇઝમાં થતા ફેરફાર મુજબ પેટ્રોલ પમ્પ સંચાલકોએ વેરાકીય જવાબદારી અદા કરવાની થાય છે. મોટાભાગના સંચાલકો દ્વારા રીટેલ સેલ્સ પ્રાઈઝમાં થતા ફેરફારો મુજબ વેરાકીય જવાબદારીઓ અદા કરવામાં આવી ન હતી. આ કેસોમાં ચકાસણીની કાર્યવાહી દરમિયાન મળી આવેલી વિસંગતતાઓ સબબ કુલ 22.61 કરોડનું વેરાકીય માંગણુ ઉપસ્થિત થયું છે. જે પૈકી 6.01 કરોડની સ્થળ ઉપર જ વસૂલાત કરવામાં આવી હતી. બાકી વેરાની સલામતી માટે કામચલાઉ ટાંચ મુકવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસો પૈકીના કેટલાક કેસોમાં હિસાબી સાહિત્ય-ડેટા મેળવવામાં આવ્યા છે જેની ચકાસણીમાં વેરાની રકમ વધવાની સંભાવના છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જીએસટી તંત્રએ અમદાવાદમાં 14, સાબરકાંઠામાં 11, બનાસકાંઠામાં 7, કચ્છમાં 6, અમરેલીમાં 5, સુરેન્દ્રનગરમાં 5, વડોદરામાં 5, દાહોદ, ગાંધીનગર, ખેડામાં ચાર-ચાર આણંદ, ભરુચ, પાટણ, વલસાડમાં ત્રણ-ત્રણ ભાવનગર, ગોધરા, જામનગર, જૂનાગઢ, સુરત, વિસનગરમાં બે-બે પેટ્રોલ પંપો અને ભુજ, ડાંગ, ડિસા, મહેસાણા, મુંદ્રા, નવસારી, પાલનપુર, સાગબારા, સિધ્ધપુર, વડગામ, વડનગર તથા વિજાપુરમાં એક-એક પેટ્રોલ પંપો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.