Site icon Revoi.in

નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ

Social Share

ગુજરાતમાં ધાર્મિક માહોલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે યુવાનો નવરાત્રિમાં ગરબે ગુમવા થનગની રહ્યાં છે. નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરવામાં આવે છે. આ ઉપવાસ નવ દિવસ સુધી રાખવામાં આવે છે. આ પવિત્ર તહેવારની શરૂઆત શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરીને કરવામાં આવે છે અને કન્યા પૂજન સાથે ઉત્સવની સમાપ્તિ થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રી ઉત્સવ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 4 ઓક્ટોબર સુધી ચાલશે.

ઘટસ્થાપનનો શુભ સમય 26 સપ્ટેમ્બર 2022ના રોજ સવારે 6.11 થી 7.51 સુધીનો રહેશે. આ ઉપરાંત તે જ દિવસે બપોરે 12.06 થી 12.54 સુધી અભિજિત મુહૂર્ત છે.

આસો નવરાત્રિ મહોત્સવની તિથીઓ

નોરતુ             તારીખ                     માતાજીના નવ સ્વરૂપ

પ્રથમ        26 સપ્ટે.2022             માં શૈલપુત્રી

બીજુ         27 સપ્ટે.2022             માં બ્રહ્મચારિણી

ત્રીજુ         28 સપ્ટે.2022             માં ચંદ્રઘંટા

ચોથું         29 સપ્ટે.2022             માં કુષ્માંડા

પાંચમું       30 સપ્ટે.2022            માં સ્કંદમાતા

છઠ્ઠુ          01 ઓક્ટો.2022         માં કાત્યાયની

સાતમું       02 ઓક્ટો.2022       માં કાલરાત્રિ

આઠમું       03 ઓક્ટો.2022       માં મહાગૌરી

નવમું        04 ઓક્ટો.2022        માં સિદ્ધિદાત્રિ

સૌથી પહેલા ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં પૂજા સ્થળ પસંદ કરી, તેને ગંગાજળથી સાફ કરવી જોઈએ. આ પછી માતાજીના સ્થાપના માટે ચોકી બનાવીને તેની ઉપર લાલ કપડું પાથરીને માતાજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. નાળિયરને લાલ ચુંદડીથી બાંધીને કળશ ઉપર મુકવું જોઈએ, કળશમાં પાણી ભરીને અંદર બે લવિંગ, સોપારી, આખી હળદર, દૂર્વા અને રૂ. એકનો મુકવો જોઈએ. આ કળશને માતાની મૂર્તિની જમણી બાજુ રાખવું જોઈએ. જે બાદ મંત્ર સાથે મા દુર્ગાનું આહવાન કરવું જોઈએ.

હિન્દુ સંસ્કૃતિમાં આસો નવરાત્રીમાં માં શક્તિની પૂજા-અર્ચનાનો શ્રેષ્ઠ સમય છે. નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન, દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, નવરાત્રિનો દરેક દિવસ દેવીના ચોક્કસ સ્વરૂપને સમર્પિત છે અને દરેક દેવીની કૃપાથી અલગ-અલગ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા હૃદયથી શારદીય નવરાત્રિનું વ્રત કરે છે, દેવી દુર્ગા દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે અને તેને સુખી અને સમૃદ્ધ જીવન આપે છે. આ વ્રતથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.