Site icon Revoi.in

દિવાળીની રજાઓ અને છઠ્ઠની પૂજા માટે ગયેલા પ્રવાસીઓને પરત લાવવા ખાસ ટ્રેનો દોડાવાશે

Social Share

વડોદરાઃ રાજ્યમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, અને અમદાવાદ સહિત શહેરોમાંથી પરપ્રાંતના શ્રમિકો દિવાળીના વેકેશન તેમજ છઠ્ઠની પૂજા માટે તેમના માદરે વતન ગયા છે. જેમાં ઉત્તર અને પૂર્વના રાજ્યોના ગુજરાતમાં વસવાટ કરનારાં મોટાભાગના હિન્દીભાષી લોકો તેમના વતનમાં ગયા છે. જેમને પરત લાવવા માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્વિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, દિવાળી વેકેશન અને છઠ્ઠ પૂજાને લીધે બિહાર અને ઉત્તરપ્રદેશ જવા વડોદરા રેલવે સ્ટેશન પરથી  વિશેષ ડ્રાઇવ ચલાવી હતી. જેને લઇને મુસાફરોને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય. વડોદરાથી ટ્રેનમાં ચડતા મુસાફરોને ખૂબ મુશ્કેલી પડતી હતી. ટ્રેનો આગળથી ભરાઈને આવતી હતી. જેથી મુસાફરોને ટ્રેનમાં બેસવાની જગ્યા મળતી નહોતી. આથી 11 નવેમ્બરથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની શરૂઆત કરી હતી. જેમાં વડોદરાથી કટિહાર, વડોદરાથી હરિદ્વાર અને ગોરખપુર સુધી ખાસ ટ્રેનો દોડાવી હતી. જેમાં મુસાફરોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. મોટાભાગના લોકો પોતાના વતનમાં પહોંચી ગયા હતા. આ દરમિયાન રેલવે સ્ટેશન પર સ્વચ્છતા પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું હતુ. આરપીએફ અને જીઆરપી દ્વારા સિક્યોરિટી માટે વધારાની 3 થી 4  ફોર્સ લગાવી દેવામાં આવી હતી. યાત્રીઓને કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા.હવે તેમના વતન ગયેલા લોકોને પરત આવવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. કટિહાર,હરિદ્વાર અને ગોરખપુરથી વડોદરા સુધીની ખાસ ટ્રેન દોડાવવામાં આવશે.

તેમણે ઉમેર્યુ હતું કે, દિવાળી અને છઠપૂજા દરમિયાન તમામ ટ્રેનો હાઇસફુલ ગઈ છે અને હવે જે લોકો દિવાળી અને છઠ પૂજાની ઉજવણી કરીને પરત આવશે, તે સમયે પણ તમામ તૈયારીઓ કરવામાં આવશે.