Site icon Revoi.in

સુરતઃ ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે પશુપાલકોએ 300 લીટર દૂધ તાપીમાં વહાવીને નોંધાવ્યો વિરોધ

Social Share

અમદાવાદઃ ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન સમગ્ર મામલે આંદોલન કરી રહેલા પશુપાલકોએ આજે દૂધનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. જેથી, માલધારી સમાજે આજે દુધ સપ્લાય નહીં કરીને નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સુરતમાં માલધારી સમાજના દેખાવકારોએ તાપી નદીમાં દૂધ વહાવીને અનોખો વિરોધ કર્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં માલધારી સમાજે દૂધનું વિતરણ કરવાનું ટાળ્યું હતું. એટલું જ માલધારી સમાજના આગેવાનો દૂધ લઈને તાપી નદીના નાવડી ઓવારા ગયા હતા. જ્યાં નદીના પાણીમાં લગભગ 300 લીટર જેટલું દૂધ વહાવીને વિરોધ નોંધાવ્યો હતો. સુરત ના ડભોલી-જહાંગીર પુરા બ્રિજ પરથી દૂધ તાપી નદીમાં ઢોળવામાં આવ્યું હતું.

માલધારીઓ એ કેનમાંથી તાપી નદીમાં દૂધ ઢોળ્યું હતું. દૂધનો નાશ કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. જોકે, બાદમાં સાધુ સંતો દ્વારા દૂધ ઢોળવાની મનાઈ ફરમાવામાં આવી છે. જેથી પશુપાલકોએ દૂર ઢોળવાનું બંધ રાખ્યું હતું. ગુજરાતના માલધારીઓ આજે અને બુધવારના રોજ અણુંજા પાડશે. એટલે કે, આ દિવસે ડેરીઓમાં, મંડળીઓમાં, વાડામાં ક્યાંય દૂધ ભરાવવાનું કે વેચવાનું નહી એવું માલધારી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માલધારી સમાજ ઢોર નિયંત્રણ કાયદાને લઈને વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન વિધાનસભાના સત્રમાં આ કાયદાને પરત લેવામાં આવે તેવી શકયતા છે. માલધારી સમાજના આગેવાનો ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યાં હતા ત્યારે તેમણે પણ કાયદો પરત ખેંચવાનું આશ્વાસન આપ્યું હતું.