Site icon Revoi.in

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટઃ ચાર સ્થળો ઉપર બનશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન

Social Share

અમદાવાદઃગુજરાતના મેગાસિટી અમદાવાદમાં હાલ પૂરજોરશોરથી મેટ્રોનું કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં મેટ્રો દોડતી થઈ જશે. બીજી તરફ ડાયમન્ડ સિટી સુરતમાં પણ મેટ્રો રેલની કામગીરી શરૂ થઈ ચુકી છે. એલિવેટેડ રૂટ માટે ટેસ્ટિંગ પૈલિંગનું કામ નિર્ધારિત કરેલા રસ્તા પર ચાલી રહ્યું છે. તેમજ અંડરગ્રાઉન્ડ સેક્શન માટે દિલ્હીથી ટનલ બોરિંગ મશીન પણ આવી ચૂક્યું છે. આ મશીનને જોડવા માટે અને તેના ટેસ્ટિંગ માટે થાઈલેન્ડથી એક્સપર્ટની ટીમને બોલાવવામાં આવી છે. જે અહીં આવીને આ મશીનને જોડીને તેનું ટેસ્ટિંગ કરીને તેના અંડરગ્રાઉન્ડનું કાર્ય શરૂ કરશે. સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ચાર સ્થળો ઉપર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત મેટ્રો રેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અન્ડરગ્રાઉન્ડ સેક્શનનું કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ થાઇલેંડથી ઓછામાં ઓછા એક ડઝન ટેકનિકલ સ્ટાફ આવતા અઠવાડિયે સુરત આવી જશે. આ ટીમ મશીનને જોડશે અને તેની ટેકનિકલ કાર્યપ્રણાલીઓ દેખરેખ પણ રાખશે. ત્રણ મહિનાની અંદર ટ્રાયલ અને ટેસ્ટિંગ પછી લગભગ દિવાળીની આસપાસ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રસ્તો બનાવવાનું કામ શરૂ થઈ શકે છે. ચોક બજારથી સુરત રેલ્વે સ્ટેશન સુધી 3.47 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ રસ્તાનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે અંડરગ્રાઉન્ડ રસ્તા પર કોન્ટ્રાકટર દ્વારા કામ કરવામાં આવશે. સુરત શહેરની જનતા આતુરતાથી મેટ્રો રેલની રાહ જોઈ રહ્યાં છે. બીજી તરફ તંત્ર દ્વારા આ કામગીરી ઝડપી પૂર્ણ કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે.

દિવાળી બાદ સુરત સ્ટેશન પાસે લંબે હનુમાન રોડ પર અંડરગ્રાઉન્ડ સેક્શન માટે લોન્ચ કરવાની સંભાવના છે. તે જમીનથી 16 થી 28 મીટર અંડરગ્રાઉન્ડ માં 6.5 મીટરના વ્યાસમાં જમીનને કાપીને આગળ વધશે. આ ઉપરાંત કોંક્રિટ લેયર પણ બનાવતું જશે. અંડરગ્રાઉન્ડ માર્ગમાં ચોક બજાર, મસ્કતી હોસ્પિટલ લાભેશ્વર અને સુરત સ્ટેશન સહિત કુલ ચાર સ્ટેશન બનાવાશે. વર્ષ 2023 સુધી આ ટનલ બનીને તૈયાર થઇ જશે.