Site icon Revoi.in

જીવિત વ્યક્તિના વિમાનો 32 લાખનો ડેથ ક્લેમ પાસ કરાવીને કૌભાંડ કરનારા ચાર શખસો પકડાયા

Social Share

અમદાવાદ :  જીવતા વ્યક્તિઓને મૃત જાહેર કરી વિમાનો ક્લેમ કરીને રૂપિયા ચાંઉ કરવાનું કૌભાડનો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પડદાફાશ કર્યો હતો. જીવતા વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ આપી વીમાના 32 લાખ ચાઉં કરી જનારા એક તલાટી મંત્રી સહિત ચાર આરોપીઓની.અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, યુવકે પોલિસીનું સ્ટેટ્સ તપાસ કરતા આખું ભોપાળું બહાર આવ્યું હતું. જે સામે આવ્યા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના ઘાટલોડિયા સીપી નગરમાં રહેતા એક યુવકનું બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરીને વીમા કંપનીમાંથી ડેથ કલેમ પાસ કરાવીને પોલિસીના રૂ.32.50 લાખ ઉપાડી લેનારા ચાર ગઠિયાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. સીપી કોલોની વિભાગ 2 માં રહેતા અને બરફનો વેપાર કરતા નીશીત પટેલે આદિત્ય બીરલા સન લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં તેમના પિતા સુમનભાઈના નામે ડ્રીમ પ્લાન હેઠળ બે પોલિસી લીધી હતી. બાદમાં નિશિતભાઈએ બીજી બે પોલિસી ફોરેસાઈટ પ્લાન હેઠળ તેમના પોતાના નામે લીધી હતી. જેનું વાર્ષિક પ્રીમિયમ રૂ.1 લાખ ભરતા હતા. જો કે છેલ્લે ફેબ્રુઆરી 2020માં પોલિસીનું સ્ટેટસ જોયું હતું. બાદમાં 21 જાન્યુઆરીએ તેમની પોલિસીનું સ્ટેટસ જાણવા માટે આંબાવાડી પાસે આવેલા પંચરત્ન કોમપ્લેક્ષમાં ગયા હતા. મેનેજર પ્રતિકભાઈને મળ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, તેમની બંન્ને પોલિસીમાં ડેથ ક્લેમ પાસ કરી દેવામાં આવ્યા છે. જો કે નીશીતભાઈએ કહ્યું કે હું જીવિત હોવા છતાં તમે કંઈ રીતે ડેથ કલેમ પાસ કર્યો છે. જો કે મેનેજરે આ અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશિતભાઈની પોલિસી પાસ કરાવવા માટે નિશિતભાઈનું ખોટું ડેથ સર્ટિફિકેટ સહિતના અન્ય ખોટા દસ્તાવેજો બનાવી વીમા કંપનીમાં રજૂ કરી 32.50 લાખનો ડેથ કલેમ પાસ કરાવી લીધો હતો. આ અંગે નિશિતભાઈએ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ફારુકહુસેન મીરઝા જે તલાટી છે, સંજયસિંહ સોલંકી, રોહિત સોલંકી અને રાજેશભાઈ વ્રજલાલ રાઠોડની ધરપકડ કરી તેમણે કેવી રીતે આ ક્લેમ પાસ કરાવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સહિત અન્ય કેટલીક પોલિસીઓ પાસ કરાવી છે. આ અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે.