Site icon Revoi.in

તરણેતરનો ભાતીગળ લોકમેળો 18મી સપ્ટેમ્બરથી યોજાશે, કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી બેઠક

Social Share

સુરેન્‍દ્રનગરઃ  જિલ્‍લામાં થાનગઢ નજીક તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ તરણેતરના ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21 સપ્‍ટેમ્‍બર-2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમા જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા.

જિલ્લા કલેકટર કે.સી સંપટએ આ બેઠકમાં ઉપસ્‍થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા જણાવ્‍યું હતુ કે, તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગના અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનુ છે. મેળામાં રસ્‍તા, પાર્કિંગ, બસ, કાયદો અને વ્‍યવસ્‍થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઇ, સ્‍ટેજ રીનોવેશન, વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્‍પિકસ, સંચાર વ્‍યવસ્‍થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, સ્‍વાગત વ્‍યવસ્‍થા વગેરે બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. લમ્પી વાઈરસના કારણે ગત વર્ષે પશુમેળાનુ આયોજન કરવામાં આવ્યું ન હતુ. પરંતુ આ વર્ષે પશુમેળાનુ આયોજન કરવામાં આવશે તે સંદર્ભે જરૂરી તૈયારીઓ કરવા સંબધિત વિભાગને સૂચના આપી હતી.

જિલ્લા કલેકટરે બેઠકમાં ઉપસ્થિત રહેલા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને સમગ્ર મેળા દરમિયાન વીજ પુરવઠો સાતત્‍યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સુચના આપી હતી. વધુમાં તેમણે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષક જી.એ.પંડ્યા, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા, ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ પટેલ તેમજ તરણેતરના સરપંચ/તલાટી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.