Site icon Revoi.in

KYCના નામે આવતા મેસેજથી રહો સાવધ, નહીં તો તળિયાઝાટક થઇ જશે એકાઉન્ટ

Social Share

નવી દિલ્હી: પ્રવર્તમાન સમયમાં સ્માર્ટફોન અને ટેક્નોલોજીના વધતા વપરાશ સાથે ઑનલાઇન ફ્રોડ થવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. કોરોના મહામારીને કારણે હાલમાં મોટા ભાગના વપરાશકર્તાઓ ઑનલાઇન પેમેન્ટ તરફ વળ્યા છે. આવી ઑનલાઇન પેમેન્ટ સિસ્ટમની સાથે અનેક ફ્રોડના કિસ્સા પણ વધે છે. હેકર્સ યૂઝર્સ પાસેથી છેતરપિંડી કરવા માટે OTP માંગે છે. ચાલો જાણીએ કઇ રીતે થાય છે છેતરપિંડી.

યૂઝર્સ સાથે છેતરપિંડી કરવા માટે યૂઝર્સને હવે KYC વેરિફિકેશન મળી રહ્યાં છે. જેમાં એવું જણાવવામાં આવે છે કે જો તમે આ સંદેશનો જવાબ નહીં આપો તો તમારો નંબર 24 કલાકમાં બ્લોક થઇ જશે. એરટેલ, વોડાફોન આઇડિયા અને જીયો વપરાશકર્તાઓ પણ આ પ્રકારના મેસેજીસ મેળવી રહ્યાં છે. અનેક યૂઝર્સે ટ્વિટર પર પણ આ પ્રકારના છેતરપિંડી સંદેશાઓ વિશે જણાવ્યું છે.

જે લોકો પાસે એરટેલ સીમકાર્ડ છે, તેમના મોબાઇલ નંબર પર 9114204378 નો મેસેજ આવે છે. તે વાંચે છે, ડિયર એરટેલ વપરાશકર્તા, આજે તમારો સિમ બંધ કરવામાં આવશે. કૃપા કરીને તમારું સિમ કાર્ડ અપડેટ કરો. આ માટે તમારે 8582845285 નંબર પર તરત જ કોલ કરવો પડશે. થોડા સમય પછી તમારું સિમ બ્લોક કરવામાં આવશે. જો તમે આ સંદેશનો જવાબ આપો છો, તો પછી તમને ઓનલાઇન છેતરવામાં આવશે.

આ રીતે ફ્રોડથી બચો

અહીંયા યૂઝર્સે એ નોંધ લેવી જોઇએ કે ટેલિકોમ કંપનીઓ નંબર જારી કર્યા બાદ KYC વેરિફિકેશન માટે પૂછતી નથી. જો તે થાય તો પણ, તે સત્તાવાર ચેનલો દ્વારા કરવામાં આવે છે. અજાણ્યા નંબરો દ્વારા નહીં. યૂઝર્સે પણ એ વાતની તકેદારી રાખવી જોઇએ કે કોઇપણ અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઇએ અથવા કોઇપણ નંબર પર કોલ ના કરવો જોઇએ.