Site icon Revoi.in

કાપડ પર GST વધારાના વિરોધમાં સુરત સહિત શહેરોમાં કાપડની દુકાનોએ બંધ પાળ્યો

Social Share

સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા કાપડ પર જીએસટીમાં 5 ટકાથી વધારીને 12 ટકા કરતા તેના વિરોધમાં આજે ગુજરાતના મહાનગરોના કાપડ બજારોએ પ્રતિક હડતાળ પાડી હતી. 1 જાન્યુઆરી 2022થી કાપડ ઉદ્યોગની વેલ્યુચેઇન પર 12 ટકાના જીએસટી દરના વિરોધમાં ટેકસટાઇલ ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ (ફોસ્ટા) દ્વારા આજે સુરત શહેરની તમામ 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો બંધ રાખવા એલાન આપવામાં આવ્યું છે, જેથી આજે માર્કેટ જડબેસલાક બંધ રાખવામાં આવ્યું હતું. વેપારીઓએ રોષપૂર્વક દુકાનો બંધ રાખી હતી. ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યા પર વિરોધના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.

ગુજરાતમાં કાપડના વેપારીઓ જીએસટીમાં તોતિંગ વધારાનો વિરોધ કરી રહ્યા છે. GSTના 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી છે.  જીએસટી કાઉન્સિલમાં સુરતના વેપારીઓ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. સતત વિરોધ કર્યા બાદ પણ જીએસટી કાઉન્સિલ દ્વારા કોઈ હકારાત્મક વલણ ન દાખવતાં આખરે ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા આજે પ્રતિક હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. આજે સુરતમાં સંપૂર્ણ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવામાં આવી હતી. માર્કેટના વેપારીઓમાં જીએસટીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  સુરતના સાંસદ અને ટેક્સટાઈલમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પોતે પણ માને છે કે જીએસટી 12 ટકા કરવાને કારણે ટેકસટાઇલ ઉદ્યોગમાં ભારે મુશ્કેલી પડી શકે છે, છતાં પણ સરકારે આ મુદ્દે હકારાત્મક વલણ દાખવ્યું નથી. જીએસટી કાઉન્સિલ દ્વારા એટલી પણ  ધરપત આપવામાં આવી નહોતી કે તમે કરેલી રજૂઆત અંગે અમે ફેરવિચારણા કરીશું. એક તરફ વેપારીઓની રજૂઆત કરતા રહ્યા અને જીએસટી કાઉન્સિલના અધિકારીઓ મૌન સેવીને બેસી રહ્યા હતા, જેને કારણે વેપારીઓમાં સતત રોષ વધતો રહ્યો છે.

ફોસ્ટાના સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી દર ન વધારવા માટે અમે એક દિવસ માટે ટોકન સ્ટ્રાઇક રાખી છે. અમે અમારી વાત જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા આ બંધના એલાનમાં કોઈપણ પ્રકારનું કોઈનું રાજકીય હિત નથી. માત્ર ને માત્ર વેપારી સંગઠનો જ સક્રિય છે અને અમને પૂરતી અપેક્ષાઓ છે કે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ટેક્સટાઇલમંત્રીની રજૂઆતને કારણે જીએસટી કાઉન્સિલ લીધેલા નિર્ણયમાં તેઓ ફરી એક વખત ફેરવિચારણા કરશે. તમામ વેપારી સંગઠનો કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોઈપણ જગ્યાએ મોટી સંખ્યામાં એકત્રિત થવાના નથી.