Site icon Revoi.in

દિવાળીમાં ભેટ-સોગાતો સ્વીકારતા સરકારી બાબુઓ પર ACB વોચ રાખશે

Social Share

અમદાવાદ : ગુજરાતમાં પણ લાંચ-રૂશ્વતના કેસમાં વધારો થયો જાય છે. એસીબીની ધોંસને લીધે સરકારી બાબુઓ લાંચ લેવાની નવી નવી તરકીબો શોધી લેતા હોય છે. રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ અને પોલીસ વિભાગમાં થાય છે. હવે દિવાળીના તહેવારો નજીકમાં છે, ત્યારે સરકારના અધિકારીઓથી લઈને કર્મચારીઓ ભ્રષ્ટાચારરૂપી ભેટ-સોગાતો મેળવી લેતા હોય છે. સરકારી બાબુઓની ઓફિસમાં ભેટ સોગાતોનો વરસાદ થતો હોય તેમ એક પછી એક લોકો ગિફ્ટ લઈને આવતા હોય છે. જો કે, સરકારી બાબુઓને આવી ગિફ્ટ કે પ્રલોભન સ્વીકારતા પહેલા ચેતવુ પડશે. નહિ તો કાયમ માટે દિવાળી તો બગડશે અને તેને પગલે પસ્તાવાનો વારો આવશે. કારણ કે એસીબીએ સરકારી બાબુઓ પર બાજ નજર રાખશે.

રાજ્યમાં એસીબીએ છેલ્લા કેટલાક સમયથી લાંચિયા બાબુઓ સામે સકંજો કસ્યો છે. છતાં કેટલાક સરકારી બાબુઓ  હજી પણ સુધરવાનું નામ નથી લેતા અને યેનકેન પ્રકારે લાંચ લેતા હોય છે. એમાંય દિવાળી જેવા તહેવાર પહેલા તો સરકારી બાબુઓની ઓફિસ બહાર ગિફ્ટો સાથે નવા વર્ષની શુભેચ્છા આપનારા લોકોનો રાફડો ફાટે છે. પરંતુ જો આ વર્ષે કોઈ પણ સરકારી બાબુ આવી ગીફટો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વખત આવશે. કારણ કે એસીબીની ખાનગી રાહે સરકારી ઓફિસમાં નજર રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં એસીબીની જિલ્લા પ્રમાણે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે દિવાળીના પર્વ પહેલા સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખશે અને જો કોઈ સરકારી કર્મચારી આવી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. જ્યારે બીજી તરફ હવે સરકારી બાબુઓ ગિફ્ટના બદલે કિંમતી વસ્તુઓ કે ટુર પેકેજ જેવા પ્રલોભનો પણ મેળવતા હોવાનું સામે આવ્યું છે. જો કે, એસીબીના ધ્યાને આવી કોઈ ફરિયાદ કે અરજી આવશે તો એસીબી તે અંગે પણ તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કરીને કાર્યવાહી કરશે અને જો કોઈ સરકારી કર્મચારી ગિફ્ટ કે પ્રલોભનો લઈ રહ્યા હોવાનું કોઈ નાગરિકના ધ્યાનમાં આવે તો ઓળખ ખાનગી રાખીને એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી શકે છે. જેથી લાંચીયા બાબુઓ પર લગામ લગાવી શકાય.