Site icon Revoi.in

જાણીતી ટીવી સિરિયલ ‘અનુપમા’ના આ કલાકારે યાદ કર્યાં સંઘર્ષના દિવસો

Social Share

મુંબઈઃ અભિનેતા કુંવર અમર સિંહ હાલમાં ટીવી સીરિયલ ‘અનુપમા’માં જોવા મળે છે. અમર સિંહ આ શોમાં તાપિશ ઉર્ફે ટીટુનો રોલ કરી રહ્યો છે. તેના પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, અભિનેતાએ તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા છે. તેણે કહ્યું છે કે, કેવી રીતે તેના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તે કામ માટે વિવિધ જગ્યાએ ભટકતો હતો. કુંવર અમર સિંહે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પોતાના ખરાબ તબક્કા વિશે જણાવ્યું હતું.

કુંવર અમરે કહ્યું કે, મારી સફર ઘણી લાંબી અને ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. ડાન્સ ઈન્ડિયા ડાન્સ પછી મેં 6 વર્ષ સુધી સતત કામ કર્યું હતું. મેં 2-3 શો કર્યા, જેમાં મારો ‘દિલ દોસ્તી ડાન્સ’ ઘણો લોકપ્રિય થયો અને મેં સારું નામ કમાવ્યું હતું.

અભિનેતાએ વધુમાં જણાવ્યું કે, આ શો પછી તેણે નામકરણ સિરિયલ અને ઘણા મ્યુઝિક વીડિયો કર્યા હતા. કુંવર અમરે કહ્યું કે, પણ હું ફિલ્મો અને OTT તરફ આગળ વધવા માંગતો હતો. પરંતુ ઓટીટી એટલી ફેમસ નહોતી, બોલિવૂડનો રસ્તો સાવ અલગ હતો. તેથી આ બધું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું.

કુંવર અમરે પોતાના સૌથી ખરાબ તબક્કા વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે કોવિડ પહેલા અને પછીના બે વર્ષ મારા માટે સૌથી મુશ્કેલ રહ્યા છે. મારી પાસે કોઈ કામ નહોતું. પૈસા બચ્યા ન હતા. તે સમયે ઘણા લોકો મારી પાસે આવતા અને માત્ર સલાહ આપીને જતા રહ્યા.

અભિનેતાએ કહ્યું કે, બે વર્ષથી વધુનો સમયગાળો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેના માટે જીવવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. કુંવર અમરે કહ્યું કે, મેં ઘરની બહાર જવાનું બંધ કરી દીધું હતું. કારણ કે મુંબઈ એક મોંઘું શહેર છે જ્યાં રહેવું સરળ નથી. હું એક્ટર છું એટલે મારે એ સ્ટેટસ જાળવવું પડશે, નહીં તો લોકો તમને હળવાશથી લેવા લાગે છે.

કુંવર અમરે કહ્યું કે, ઘણા લોકોએ તેમને ટોણા માર્યા છે કે હવે તેમની પાસે કોઈ કામ નથી. હવે તેની કારકિર્દી પૂરી થઈ ગઈ છે. પરંતુ અભિનેતા પોતાને નસીબદાર માને છે કે ભગવાને તેને છોડ્યો નથી અને તેને ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ અનુપમામાં કામ કરવાની તક મળી છે, જે તેના માટે બાઉન્સ બેક સમાન છે.