Site icon Revoi.in

વડોદરામાં વિશ્વામિત્રી નદી પરનો કાલાઘોડા બ્રીજની જર્જરિત હાલત, રેલિંગો પણ તૂટી ગઈ

Social Share

વડોદરા : શહેરની મધ્યમાં આવેલો ઐતિહાસિક કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ જર્જરિત બની ગયો છે. બ્રિજની બંને બાજુની રેલિંગો તૂટી પડી છે, જેના કારણે ગમે ત્યારે હોનારત સર્જાય તેવી સ્થિતિ છે. બ્રિજની હાલત એવી છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. બ્રીજની નીચે મગરોનો વસવાટ પણ વધી ગયો છે. આવામાં શુ તંત્ર આ દુર્ઘટનાની રાહ જોઈને બેસ્યુ છે તેવા નાગરિકો સવાલ કરી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  જૂના નવા વડોદરા શહેરને જોડતો ઐતિહાસિક કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ વડોદરાના નાગરિકો માટે અવરજવરનું મુખ્ય માધ્યમ છે. આ બ્રિજ 60 વર્ષ જૂનો બ્રિજ હોવાનું માનવામાં આવે છે. જોકે આ બ્રિજની બંને સાઈડની ફૂટપાથની રેલિંગો જર્જરિત થઈ ગઈ છે.  ઉપરાંત બ્રિજના મેન સ્લેબ પણ સડી ગયા છે. આરસીસીના પોપડા પડવાના કારણે સ્લેબના સળિયાઓ પણ કટાઈ ગયા છે. બ્રિજથી કાલાઘોડા સર્કલ તરફ નીચેના ભાગે સતી આશરા માતાનું મંદિર પણ આવેલું છે, જ્યાં હજારો લોકો દર્શન માટે આવે છે. ત્યારે લોકો માટે આ બ્રિજ જોખમી બની ગયો છે. બ્રિજના સળિયા અને રેલિંગો ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં છે. સ્માર્ટ સિટીમાં અનેક નવા બ્રિજ બનાવવામાં આવે છે પરંતુ વડોદરાના મધ્યમાં આવેલો કાલાઘોડા સર્કલ બ્રિજ જર્જરિત હાલતમાં છે, તેમ છતાં મ્યુનિ.કોર્પોરેશનને તેના રીપેરીંગ માટેની કોઈ દરકાર લીધી નથી.

સ્થાનિક શહેરીજનોના કહેવા મુજબ વડોદરામાં  વિશ્વામિત્રી નદી પર બનેલો કાલાઘોડા બ્રિજ ઐતિહાસિક તો છે જ, સાથે હજારો લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે. હજારો વાહન ચાલકોની અવરજવર થાય છે. આ બ્રિજના નીચેના ભાગે નદીમાં મગરોના બાસ્કેટ હોવાનું પણ માનવામાં આવે છે. જો કોઈ દુર્ઘટના બને તો મગરોના હુમલા પણ થઈ શકે છે. મ્યુનિ. કોર્પોરેશન તંત્રએ આ અગાઉ બ્રિજના રીપેરીંગની કામગીરી શરૂ કરી હતી. પરંતુ મગર પ્રેમીઓએ આ કામગીરી અટકાવી હતી. જો કે ત્યારબાદ જે તે વખતના ટેન્ડરની કામગીરી અધૂરી રહી તેના કારણે રિપેરીંગનું કામ થઈ શક્યું નથી. મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહ્યું હતું કે,  ફરી ટેન્ડર પાડીને વહેલી તકે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે.(file photo)