Site icon Revoi.in

સુરતમાં પોલીસની મોક-ડ્રીલના સમયે જ ફ્લાઈટને લેન્ડિંગની મંજુરી મળી, પણ પાઈલોટે લેન્ડિંગ ન કર્યું

Social Share

સુરત:  શહેરના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. શહેરના એરપોર્ટ પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી. ત્યારે જ  ATCએ પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. જેના કારણે એન્ટી હાઇજેક મોકડ્રીલ વખતે વેન્ચુરા એર કનેક્ટની ફ્લાઇટ પોલીસ વાન સાથે અથડાતા બચી ગઈ હતી. પાઇલટે 800 ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જોતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. આ ઘટનામાં મોટી ગંભીરતાને જોતા ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશને તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ બીજી બાજુ DGCAને આપેલા રિપોર્ટમાં દોષનો ટોપલો પોલીસ પર ઢોળી દેવામાં આવ્યો છે.

આ બનાવ અંગે  એરપોર્ટ ઓથોરિટી સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પર મંજૂરી વિના પોલીસ મોકડ્રીલ માટે ઘુસી હતી. પરંતુ પોલીસે એવો દાવો કર્યો હતો કે, મંજૂરી વિના મોકડ્રીલ શક્ય જ નથી. જો આ દુર્ઘટના સર્જાઈ હોત તો અમરેલીથી સુરત આવેલી વેન્ચુરાની ફ્લાઇટમાં 11 મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ શકતા હતા. પરંતુ પાયલોટે અનુભવના હિસાબે 57 મિનિટ પછી રન-વે ખાલી કરાવ્યા બાદ ફ્લાઇટનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 28મી નવેમ્બરના રવિવારે વેસુ તરફના રનવે પર વેન્ચુરા એર કનેક્ટની ફ્લાઇટ લેન્ડ થવાની હતી. ત્યારે જ રન-વે પર  સુરત પોલીસની પાંચ જીપ લાઇનમાં જ સુરત એરપોર્ટના ફાયર સ્ટેશનથી રનવે પર પહોંચી હતી. પાઇલટે 800 ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જોતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. અને ફ્લાઈટને પાછી આકાશમાં લઈ ગયો હતો. ત્યારબાદ આખી ઘટનાની જાણ એટીસીને કરાઈ હતી, અને પોલીસને જાણ કરી એક કલાકમાં રનવે ખાલી કરાવ્યો હતો. એ પછી ફ્લાઇટ લેન્ડ થઈ હતી. આ ઘટનામાં પાયલોટે ફરિયાદ કરતા ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશને તપાસના આદેશ આપ્યા હતા. જોકે  સુરત એરપોર્ટના ઓફિસરોને જ સોપાતા તેમણે આખો મામલો સુરત પોલીસ પર ઢોળ્યો હતો અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો.