અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં આંશિક ઉછાળો થતાં આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે. કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે 100 ટકા નાગરિકોનું ટીકાકરણ કરવા ડોર ટુ ડોર જઈને વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા લોકોને મફતમાં કોરોના વિરોધ વેક્સિન આપવામાં આવતું હોવા છતાં હજુપણ ઘાણાબધા લોકો વેક્સિન લેવામાં આળસ અનુભવી રહ્યા છે. રાજ્યમાં હજી પણ 1 લાખ 13 હજાર 947 લોકો એવા છે કે જેમને કોરોનાનો પ્રથમ ડોઝ લીધો હતો. હવે નાગરિકોમાં જન જાગૃતિ કેળવવા માટે ધર્મ ગુરુઓ તેમજ સ્થાનિક આગેવાનોની પણ મદદ લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, કોરોના સામેની જંગમાં એકમાત્ર રસી જ અમોઘ શસ્ત્ર હોવા છતાં નાગરિકો હજી પણ કોરોના રસી નો ડોઝ લેવા માટે આળસ કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ઘાતકી નીવડી હતી. જેની ઘાતકી અસરથી મોટા ભાગના નાગરિકોને થઈ હોવા છતાં હજીપણ રાજ્યમાં હજી પણ 1 લાખ 13 હજાર 947 લોકો એવા છે કે જેઓ કોરોનાનો પ્રથમ ડોઝ લીધા વિના ફરી રહ્યા છે. આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુ વયના માત્ર 1.4 ટકા લોકોએ જ કોરોનાની રસીનો ડોઝ લીધો છે. જ્યારે 98.6 ટકા લોકોએ હજી સુધી પ્રિકોશનરી ડોઝ લીધો નથી. આજ દિન સુધીમાં એટલે કે, 12 ફેબ્રુઆરીથી આજ દિન સુધીમાં ફક્ત 1.4 ટકા લોકોએ જ કોરોનાની રસીનો ડોઝ લીધો છે. જ્યારે હજી સુધી 98.6 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રિકોશનરી ડોઝ લીધો જ નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, દેશમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ શરૂ થયું છે. ત્યારબાદ તબક્કાવાર રીતે કોરોનાની રસી આપવામાં આવી હતી. જોકે, ગુજરાતમાં હજી પણ 1,13,947 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ નથી લીધો. જ્યારે 23,57,991 લોકોએ બીજો ડોઝ નથી લીધો. જ્યારે બાળકોની વાત કરીએ તો, 15થી 17 વર્ષના 4,64,160 બાળકોએ પ્રથમ અને 3,01,402 બાળકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. જ્યારે 12થી 14 વર્ષની વયના બાળકોમાં હજી 5,17,258 અને બીજા ડોઝમાં 3,38,276 બાળકોએ રસીના ડોઝ લીધા નથી. જ્યારે પ્રિકોશનરી ડોઝ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે, 18 વર્ષથી 59 વર્ષ સુધીના લોકોને ખાનગી સેન્ટરમાં જઈને પૈસા ચૂકવીને પ્રિકોશનરી ડોઝ લેવાના SMS પણ કરવામાં આવી રહ્યા છે, પણ પ્રિકોશનરી ડોઝની 450 રૂપિયાની કિંમત હોવાના કારણે લોકો પ્રિકોશનરી ડોઝ નથી લઈ રહ્યા હોવાનું પણ એક કારણ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને પ્રીકોશન ડોઝ મફતમાં આપવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હજુ 38 ટકા પ્રિકોશનરી ડોઝ લેવાનો બાકી છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં આરોગ્યના કર્મચારીઓ ઘરે ઘરે જઈને વેક્સીનના ડોઝ આપવામાં માટે ઝુંબેશ શરૂ કરશે. આ સિવાય વધતા જતા કોરોના કેસોને ધ્યાને રાખી લોકોમાં જન જાગૃતિ આવે તે માટે હવે આગામી દિવસોમાં ધર્મગુરુઓ અને સ્થાનિક વિસ્તારના આગેવાનોના વીડિયો રેકોર્ડ કરીને જેતે જગ્યા ઉપર ડિસ્પ્લે કરવામાં આવશે.