Site icon Revoi.in

ગુજરાતમાં અતિવૃષ્ટીથી પાકને થયેલા નુકશાન માટે સરકાર બુધવારે રાહત પેકેજ જાહેર કરશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ સરકાર ખેડુતો નારાજ ન થાય તેનું ધ્યાન રાખી રહી છે. રાસાયણિક ખાતરમાં વધારેલા ભાવમાં સરકારે સબસિડી આપવાની જાહેરાત કરી છે. હવે ગુજરાત સરકાર ખેડુતો માટે મોટું રાહતા પેકેજની જાહેરાત કરશે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ આવતી કાલે જાહેર થશે. કૃષિપ્રધાન રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે આવતીકાલે કેબિનેટની બેઠક બાદ જાહેરાત થશે જેમાં અતિવૃષ્ટીમાં અસરગ્રસ્તોને સહાય આપવા અંગે નિર્ણય લેવામાં આવશે. રાહત પેકેજ સીધું જ ખેડૂતોના ખાતામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે, દિવાળી પહેલા રાહત પેકેજ જાહેર થશે. ત્યારે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજની સહાયની રકમ જમા થઈ શકે છે.

ગુજરાત સરકાર આવતીકાલે કૃષિ પેકેજ જાહેર કરશે. આ પેકેજમાં રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર 13,000 હજાર રુપિયા સહાય કરશે. ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટર સુધી નુકસાનીમાં સહાય આપવામાં આવશે. જો કે આ પેકેજ અંતર્ગત 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય આપવામાં આવશે. આ રાહત પેકેજથી જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ખેડૂતોને સહાય મળશે. આ સહાય માટે SDRFના ધોરણ કરતા વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે. ઓછામાં ઓછી 5000 સહાય ચુકવાશે. આ માટે ખેડૂતોએ 25 ઓક્ટોબર થી 20 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

રાજ્યમાં તાઉતે, અતિવૃષ્ટી અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના કારણે રાજ્યના ખેડૂતોને થયેલા પાક નુકસાની સામે પેકેજ જાહેર કરવાની અવારનવાર માગ કરવામાં આવી છે. આ અંગે ગઈકાલે 18 ઓક્ટોબરે જ કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી સર્વગ્રાહી પેકેજ જાહેર કરવા માટે રજૂઆત કરી હતી. સળંગ 28 દિવસ વરસાદ ન પડ્યો હોય એવા તાલુકાને પણ આ રાહત પેકેજમાં સમાવવા માંગણી કરવામાં આવી છે.ખેડૂત આગેવાનો, ધારાસભ્યોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરી કેટલી સહાય કરવી તે માટે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ હોવાનું રાજ્યના કૃષિ પ્રધાને જણાવ્યું.