Site icon Revoi.in

ગુજરાત સરકારે કોવિડ ટેસ્ટિંગ કિટ ખરીદવા પાછળ રુપિયા 320 કરોડનો ખર્ચ કર્યો

Social Share

અમદાવાદ:  ગુજરાતમાં કોરોનાનો કાળ એકંદરે કપરો રહ્યો હતો. સરકારી તંત્રએ દર્દીઓને સારવાર અને દવાઓ તેમજ ટેસ્ટિંગ કિટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષથી જ્યારથી કોવિડ મહામારી શરુ થઈ છે ત્યારથી રાજ્ય સરકારે કુલ રૂ. 320.19 કરોડના ખર્ચે 72 લાખ RT-PCR ટેસ્ટિંગ કીટ અને 1.60 કરોડ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ ખરીદી છે. ગુજરાત  વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે  2020-21માં 14.03 લાખ આરટીપીસીઆર કીટ્સ રુ.782.88 થી રુ.40.20 પ્રતિ કીટની કિંમતે ખરીદી હતી, જ્યારે 78.40 લાખ એન્ટિજેન કીટ રુ.504 થી રુ.105 પ્રતિ કીટના ભાવે ખરીદી હતી

ગુજરાત વિધાનસભામાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 2021 માં કિટ દીઠ રૂ. 30.5 થી રૂ. 19.75 સુધીની કિંમતની 58 લાખ RT-PCR ટેસ્ટ કીટ ખરીદવામાં આવી હતી, જ્યારે 81.30 લાખ એન્ટિજેન કીટ રૂ. 72.8 થી રૂ. 11.17 પ્રતિ કીટની વચ્ચે ખરીદવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નાયબ નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે કેન્દ્રની 20 ફેબ્રુઆરી, 2020 ના રોજ રાજ્યોને કોરોના ફાટી નીકળવાની ચેતવણી આપતી સૂચના પછી સરકારે આવશ્યક કોવિડ -19 કીટ ખરીદવા માટે દોઢ મહિનાથી વધુ સમય રાહ જોઈ હતી. જ્યારે આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 7 એપ્રિલ, 2020 ના રોજ RT-PCR કીટ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા અને 17 એપ્રિલ, 2020 થી ખરીદીના ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. આ પહેલા ICMR પુણે દ્વારા કિટ સપ્લાય કરવામાં આવી હતી અને ત્યાં ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “સરકાર ટ્રમ્પ ઈવેન્ટને સંભાળવામાં વ્યસ્ત હતી અને લોકોના આરોગ્યની પ્રાથમિકતાઓને અવગણી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડિસેમ્બરમાં જ સરકારને મહામારી અંગે ચેતવણી આપી હતી પરંતુ ગુજરાત સરકારે કોઈ પગલાં લીધા ન હતા. જોકે તેના જવાબમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે કોવિડ ટ્રમ્પના કાર્યક્રમથી નહીં, પરંતુ ચીન દ્વારા ફેલાયો છે. તેમણે કહ્યું હતું કે, “અન્ય દેશો, જ્યાં ટ્રમ્પે મુલાકાત લીધી ન હતી, ત્યાં પણ વાયરસ ફેલાયો હતો. જ્યારે આ બીમારીને આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તમામ બાબતો નવી હતી અને સરકાર તેના અનુભવ અનુસાર પરિસ્થિતિનો સામનો કરી રહી હતી. તબીબી સાધનો અને જરૂરી દવાઓ માટે પણ, યોગ્ય લોજિસ્ટિક્સ લિંક્સ તૈયાર કરવા માટે સમયની જરૂર પડે છે તેમ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2020 માં જ કોવિડ માટે પરીક્ષણ કે ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું.