Site icon Revoi.in

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો વન ટાઈમ ફિક્સ જંત્રી ભરીને માલિકીના કરી શકાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાનોને લીઝ હોલ્ડમાંથી નિશ્ચિત જંત્રીની રકમ ચૂકવવા પર ફ્રી હોલ્ડમાં ફેરવવાની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગે 30 જુલાઈ, 2021 ના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લીઝ હોલ્ડ પ્રોપર્ટીને એક વખતની ફિક્સ જંત્રીની ચુકવણી કરવાથી ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં રૂપાંતરિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્ય સરકારને આવક તો થશે જ ઉપરાંત, આ પગલું હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ માટે આવી મિલકતો પોતાના નામે ધરાવવાનો માર્ગ પણ મોકળો કરશે, જેને તેઓ હાલમાં લીઝ પર ધરાવે છે. આ મિલકતોના વેચાણથી રહેવાસીઓને વધારે આવક મળશે એટલું જ નહીં, તેઓ રિડેવલોપમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાડૂતો કાયદેસર રીતે તેમની મિલકતો વેચી શકતા નથી આ મુદ્દો છેલ્લા કેટલાક સમયથી રાજકીય નેતાઓ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ અધિકારીઓને ગુજરાત હાઉમિંગ બોર્ડના ભાડૂતોના પડતર પ્રશ્નો ઉકેલવા કહ્યું ત્યારે આ મુદ્દો પણ ચર્ચા માટે આવ્યો હતો.

ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો ઇમારત, રો હાઉસ અથવા ટેનામેન્ટ્સ સહિતના રહેણાંક એકમોનો કબજો ધરાવતા લોકો એક નિશ્ચિત સમયગાળા માટે જે સામાન્ય રીતે 99 વર્ષ હોય છે આ મિલકતોને લીઝ પર ધરાવે છે. તેથી તે આ મિલકતો વેચવાની સ્થિતિમાં નથી હોતા કારણ કે આ મિલકતો ફ્રી હોલ્ડ નથી ગણાતી. ઘણા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પોશ વિસ્તારોમાં હોવાથી, ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાનોના રહેવાસીઓ તેમની મિલકતોને લીઝ હોલ્ડથી ફ્રી હોલ્ડમાં રૂપાંતરિત કરવાનું પસંદ કરશે. એકવાર તેઓ માલિકી મેળવી લે પછી, તેઓ કોઈપણ વ્યક્તિને પૂર્વ પરવાનગીની જરૂરીયાત વગર મકાન વેચી શકશે.

જો હાઉસિંગ સોસાયટીના તમામ સભ્યો સંમત થાય, તો તેઓ રિડેવલોપમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પડતર મુદ્દાઓની છેલ્લી સમીક્ષા બેઠક દરમિયાન અમિત શાહે અધિકારીઓને ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કામ કરવા જણાવ્યું હતું.