Site icon Revoi.in

ઈજનેરી કોલેજોના અધ્યાપકોનું આંદોલન, અધ્યાપકો મંગળવારે પરિવાર સાથે ધરણાં કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. અધ્યાપક મંડળ દ્વારા પડતર પ્રશ્નો બાબતે અનેક રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા ગત.તા 16 ઓક્ટોબરથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, અધ્યાપકોએ પડતર પ્રશ્નોને લઇને ગરબા, ધરણાં, સૂત્રોચ્ચાર તથા ભજન કરીને વિરોધ કર્યો હતો. ગુરૂવારે કાળા કપડાં તથા હાથે કાળીપટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. હવે તા. 31 ઓક્ટોબરને મંગળવારે પણ પરિવાર સાથે મળીને ધરણાં કરવામાં આવશે.

ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતની સરકારી ઇજનેરી કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે CAS, બઢતી, વિનંતી બદલી, એડહૉક સેવા સળંગ, વર્ગ-3ની ભરતી, QIP હેઠળ ઉચ્ચ અભ્યાસ વગેરે બાબતે અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અધ્યાપકોએ બાયો ચડાવી છે. વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે અધ્યાપક મંડળ દ્વારા  ગઈ તા. 5 સપ્ટેમ્બરને શિક્ષક દિનથી જ ત્રણ તબક્કામાં આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા રૂબરૂ મળીને આ મુદ્દે નિરાકરણ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. જેથી 15 ઓક્ટોબર 2023 સુધી આંદોલન સ્થગિત કરવા જાહેરાત કરાઇ હતી. ત્યારબાદ સરકાર દ્વારા અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલના કોઈ પ્રયાસો કરાયા નથી કે, બેઠક પણ બોલાવી નથી. એટલે 15મીં ઓક્ટોબરથી ફરીવાર લડત શરૂ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ટેકનીકલ શિક્ષણ વિભાગમાં આશરે 600 જેટલા કોર્ટ કેસો હોવા એ વિભાગની નીતિ-રીતિ અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. મહિનાઓ અને વર્ષો સુધી રાહ જોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ આંદોલન શરૂ કર્યું છે. આંદોલનમાં અત્યાર સુધી ધરણાં, ગરબા, ભજન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે આજે કાળા કપડાં તથા હાથે કાળીપટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો. અને 31 ઓક્ટોબરે એકતા દિવસે પણ અધ્યાપકો પરિવાર સાથે મળીને ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરશે.