Site icon Revoi.in

આપણી પરંપરાગત હેલ્થકેર સિસ્ટમના અભિગમે આધુનિક યુગમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી: ડો. માંડવિયા

Social Share

પૂર્ણેઃ “આપણી પરંપરાગત હેલ્થકેર સિસ્ટમ્સના નિવારક અને પ્રોત્સાહક અભિગમએ આજે આધુનિક યુગમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, જેણે તાજેતરના રોગચાળા જેવી કટોકટીમાં પોતાને સહાયક સાબિત કરી છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન મધુકર રાવ ભાગવતની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના લાતુરમાં વિવેકાનંદ મેડિકલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરની વિવેકાનંદ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી એક્સટેન્શન હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં આ વાત કરી હતી.

આ પ્રસંગે ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, વિશ્વ પાસે ઘણાં આરોગ્ય મોડેલો છે, જોકે ભારતે ભારતીય આનુવંશિકતા સાથે સુસંગત તેના પોતાના આરોગ્ય મોડેલને મજબૂત બનાવવું જોઈએ અને તેની ભૂગોળને લગતા રોગોની ખંડીય પેટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણે આપણાં મૂળિયાં અને જીવનશૈલીમાં નિહિત જીવન જીવવાની પરંપરાગત રીતો પર ચિંતન કરવું જોઈએ, જે તે દિવસોમાં સામાન્ય હતો, અને તેમાં આપણે આજે પ્રચલિત સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનું સમાધાન શોધીશું.” છેલ્લાં પાંચ વર્ષમાં કેન્સર અને માનસિક સ્વાસ્થ્યનાં દર્દીઓમાં થયેલા વધારાને પ્રતિબિંબિત કરતાં કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “જીવન અને આહારની પરંપરાગત વ્યવસ્થા ઘણી ઔષધીય સમજણ પ્રદાન કરે છે અને હેલ્થકેરનાં દૃશ્યોમાં આ ચિંતાજનક ફેરફારોને ઘટાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનો વારસો અને ભારતનાં સ્વાસ્થ્ય મોડલનાં મૂળિયાં વિવિધ બિમારીઓનો સામનો કરવા અને તેની સારવાર કરવા જાણકારી ધરાવે છે.”

અહીં ઉપસ્થિત લોકોને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સરકાર હેલ્થકેર સેવાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા આતુર છે, જે છેવાડાનાં લોકો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા વિવિધ હેલ્થકેર પહેલો મારફતે તેમને વાજબી અને સુલભ બનાવવા આતુર છે.

માનવતાની સેવા પૂરી પાડવા માટે ભારતીય હેલ્થકેર વ્યાવસાયિકોની કટિબદ્ધતાની પ્રશંસા કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આ પરંપરાનાં મૂળમાં આપણી સદીઓ જૂની સંસ્કૃતિ રહેલી છે, જેને હવે દુનિયાએ માન્યતા આપી છે. તેમણે કહ્યું હતું કે, “કોવિડ કટોકટીએ દુનિયાને તબીબી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારતની ક્ષમતા જ નહીં, પણ ‘વસુધૈવ કુટુંબકમ’નાં મૂલ્યો પણ પ્રદર્શિત કર્યા છે. ભારતમાં સ્વાસ્થ્યને એક સેવા તરીકે જોવામાં આવે છે એ વાતનો પુનરોચ્ચાર કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્ર હેલ્થકેરની જનકેન્દ્રિત, મૂલ્ય-આધારિત વ્યવસ્થા ઊભી કરવાની આકાંક્ષા ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “આપણી સંસ્કૃતિએ આપણને લોકોની સેવા કરવાનું શીખવ્યું છે. આરોગ્ય એ કોઈ વાણિજ્ય નથી, પરંતુ એક સેવા છે જે આપણી સંસ્કૃતિમાં નિહિત છે. ”

ભારતના યોગદાન અને વિશ્વમાં આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકતા, ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે “વિદેશમાં 10 માંથી 3 તબીબી સંશોધન વ્યાવસાયિકો ભારતીય છે.” ડો. માંડવિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, “ભારતની તબીબી અને આરોગ્ય સેવાઓ આપણી સરહદોની બહાર ફેલાયેલી છે, જે સમગ્ર વિશ્વને સ્વીકારે છે.” કેન્દ્રીય આરોગ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, “અમારું લક્ષ્ય નિવારક આરોગ્યસંભાળ અને આધુનિક તબીબી સુવિધાઓ વચ્ચે સુમેળ સાથે આરોગ્ય ક્ષેત્રમાં સર્વાંગી રીતે કામ કરવાનું છે અને દેશમાં તમામ લોકો સુધી આરોગ્યસંભાળ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે જન આંદોલનની પહેલ સાથે ગતિનું નેતૃત્વ કરવાનું છે.”

Exit mobile version