ભોર (પુણે), 29 મે 2026: – બંધમાં પાણીનું સ્તર ઘટ્યું અને તે સાથે પાંડવકાળનું પ્રાચીન મંદિર પ્રગટ થયું છે. કોઈ જાણતું નથી કે શિવજીનું મંદિર ખરેખર કેટલી સદી કે કેટલા હજાર વર્ષથી અહીં છે, પરંતુ ઉનાળામાં પાણીનું સ્તર ઘટે ત્યારે મંદિરના દર્શન થાય છે અને ભક્તો ભાવવિભોર થઈ જાય છે.
મીડિયા અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાં ભટઘર ડેમનું જળસ્તર ઘટવાની સાથે જ પાણીની અંદર ડૂબાણમાં ગયેલું સદીઓ જૂનું કાંબરેશ્વર મહાદેવ મંદિર ફરી એકવાર દુનિયાની સામે આવ્યું છે. વર્ષના મોટાભાગના મહિનાઓ સુધી પાણીમાં ડૂબેલું રહેતું આ મંદિર દર વર્ષે માત્ર ઉનાળાના થોડા સમય માટે જ દેખાય છે.
જ્યારે પણ પાણી ઘટે અને મંદિરના દર્શન થાય ત્યારે શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, ફોટોગ્રાફરો અને ઇતિહાસ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડે છે. આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ પ્રાચીન ભારતીય સ્થાપત્ય કળા, એન્જિનિયરિંગ અને ઇતિહાસનું જીવંત ઉદાહરણ પણ માનવામાં આવે છે. દાયકાઓ સુધી પાણીમાં ડૂબેલા રહેવા છતાં તેનું મજબૂત માળખું આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.
આ પણ વાંચોઃ કોકરોચ પાર્ટીને હાઈકોર્ટે “હિટ” મારી દીધું, X એકાઉન્ટ તત્કાળ પુનઃસ્થાપિત નહીં થાય
અંગ્રેજોએ બનાવ્યો હતો ભટઘર ડેમ
પુણેના ભોર તાલુકામાં આવેલો બ્રિટિશ કાળના ભટઘર ડેમના સ્રાવ વિસ્તારમાં આવેલું કાંબરે ગામનું ઐતિહાસિક વારસ સમાન કાંબરેશ્વર મંદિર દેખાવા લાગ્યું છે. વેલવંડી નદી પર બનેલા આ મંદિરનો મોટાભાગનો હિસ્સો દર વર્ષે ચોમાસા પછી પાણીમાં ડૂબી જાય છે. જેમ-જેમ વરસાદનું પાણી વધે છે તેમ-તેમ મંદિર સંપૂર્ણપણે જળમગ્ન થઈ જાય છે. ઉનાળાની ઋતુમાં જ્યારે ડેમનું જળસ્તર ઘટે છે, ત્યારે ધીમે-ધીમે મંદિરનું શિખર અને ત્યારબાદ આખું મંદિર દેખાવા લાગે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં આ મંદિર સૌથી સ્પષ્ટ રીતે દેખાય છે. ગ્રામીણ લોકો દર વર્ષે મંદિરની સફાઈ કરે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાર્મિક અનુષ્ઠાન કર્યા બાદ તેને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે.
ક્યારે બન્યો હતો ડેમ?
કાંબરેશ્વર મંદિરની વાર્તા ઐતિહાસિક ઉથલપાથલ સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે વર્ષ 1928 માં અંગ્રેજોએ અહીં લોયડ ડેમ (જે આજે ભટઘર ડેમ તરીકે ઓળખાય છે) નું નિર્માણ કરાવ્યું હતું. ડેમ બન્યા પછી આસપાસનો મોટો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. કાંબરે ગામને બીજી જગ્યાએ વસાવવું પડ્યું, પરંતુ મંદિરને ત્યાં જ છોડી દેવામાં આવ્યું. ત્યારથી દર વર્ષે ચોમાસામાં આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ઉનાળામાં ફરી બહાર આવે છે.
ઇતિહાસકારોનું માનવું છે કે આ મંદિર અત્યંત પ્રાચીન છે. સ્થાનિક લોકો તેને પાંડવ કાળ સાથે જોડે છે અને માને છે કે તેનું નિર્માણ મહાભારત કાળમાં થયું હતું. જોકે, ઘણા ઇતિહાસ નિષ્ણાતો તેને હેમાડપંતી શૈલીનું મંદિર માને છે. મંદિરની બનાવટ અને પથ્થરોની ગોઠવણ મધ્યકાલીન ભારતીય સ્થાપત્ય શૈલી તરફ ઈશારો કરે છે.
આધુનિક એન્જિનિયરોને પણ આશ્ચર્યમાં મૂકતી મજબૂતાઈ
કાંબરેશ્વર મંદિરની સૌથી મોટી વિશેષતા તેની અદભુત મજબૂતાઈ છે. પાણીના સતત પ્રવાહ, મોજાં અને કાંપના દબાણ છતાં તેનું મુખ્ય માળખું આજે પણ સુરક્ષિત છે. મંદિરની દીવાલોને મોટા-મોટા કોતરણી કરેલા પથ્થરોથી બનાવવામાં આવી છે. કોઈપણ આધુનિક ટેકનોલોજી કે સિમેન્ટ વિના આ પથ્થરોને એવી રીતે જોડવામાં આવ્યા છે કે સદીઓ પછી પણ તેમનું સંતુલન જળવાઈ રહ્યું છે. મંદિરના શિખર અને ઉપરના ભાગમાં ચૂનાના પથ્થર, રેતી અને પાકેલી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અદભુત એન્જિનિયરિંગને જોવા માટે દર વર્ષે આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ અને સંશોધકો અહીં પહોંચે છે.
પાણીથી ભરેલું ગર્ભગૃહ અને રહસ્યમય શિવલિંગ
મંદિર સંપૂર્ણપણે પાણીની બહાર આવ્યા પછી પણ તેના ગર્ભગૃહની અંદર ઘૂંટણ સુધી પાણી ભરેલું રહે છે. આ જ પાણીની વચ્ચે ભગવાન શિવનું સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે. ભક્તો ગર્ભગૃહમાં જઈને પાણીમાં હાથ બોળીને શિવલિંગનો સ્પર્શ કરે છે. મંદિરમાં માતા પાર્વતી અને નંદી મહારાજની પ્રતિમાઓ પણ મોજૂદ છે.
પહેલાં આ મંદિરમાં પ્રવેશવા માટે 5 પગથિયાં ચડવા પડતા હતા, પરંતુ દર વર્ષે જમા થતી માટી અને કાંપના કારણે હવે તે પગથિયાં જમીનમાં દબાઈ ગયા છે. ગામના લોકો દર વર્ષે આ કાંપ હટાવવાની સેવા કરે છે. મંદિરની સામે નંદીની પ્રતિમા અને ખુલ્લું આંગણું છે, જ્યાં પાળિયા એટલે કે શહીદ યોદ્ધાઓની સ્મૃતિમાં બનેલી પથ્થરની શિલાઓ પણ રાખવામાં આવી છે, જે આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ વધારે છે.
પર્યટન, આસ્થા અને ઇતિહાસ
કાંબરેશ્વર મંદિર હવે માત્ર સ્થાનિક લોકો પૂરતું સીમિત રહ્યું નથી. દર વર્ષે જ્યારે આ મંદિર પાણીમાંથી બહાર આવે છે ત્યારે દૂર-દૂરથી લોકો તેને જોવા માટે પહોંચે છે. સવાર અને સાંજના સમયે મંદિર તેમજ વેલવંડી નદીનો નજારો ખૂબ જ મનમોહક લાગે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન અહીંનું દ્રશ્ય પ્રવાસીઓ અને ફોટોગ્રાફરો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.
સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત પણ લોકોને આ મંદિરની પવિત્રતા જાળવી રાખવા અપીલ કરે છે. ગામલોકોનું કહેવું છે કે આ માત્ર કોઈ ફરવાલાયક સ્થળ નથી, પરંતુ તેમની અગાધ આસ્થા અને પરંપરાનું કેન્દ્ર છે. તેથી અહીં આવતા લોકોએ ધાર્મિક મર્યાદા અને સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ. ગ્રામીણોએ શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર સુધી પહોંચવાના રસ્તાને પણ સુરક્ષિત બનાવ્યો છે. દર વર્ષે મંદિરના દ્વાર ખુલ્યા બાદ અહીં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
સદીઓ જૂના વારસાનું જીવંત પ્રમાણ
કાંબરેશ્વર મંદિર આજે પણ એ વાતની સાક્ષી પૂરે છે કે ભારતની પ્રાચીન સ્થાપત્ય કળા કેટલી પ્રગતિશીલ અને મજબૂત હતી. વર્ષો સુધી પાણીમાં ડૂબેલા રહેવા છતાં તેનું અસ્તિત્વ અકબંધ રહેવું એ કોઈ ચમત્કારથી કમ નથી. દર વર્ષે માત્ર થોડા દિવસો માટે પાણીની બહાર આવતું આ મંદિર માનો કે સમયના ગર્ભમાં છુપાયેલી એક વાર્તાને ફરીથી જીવંત કરી દે છે. ભોર તાલુકાનું આ પ્રાચીન શિવ મંદિર આજે પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે અને એ સાબિત કરે છે કે ભારતનો ઐતિહાસિક વારસો માત્ર પથ્થરોની ઈમારતો નથી, પરંતુ સદીઓ જૂની સભ્યતા અને સંસ્કૃતિની જીવંત ઓળખ છે.

